રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: આજે મહા શિવરાત્રીના દિવસે સવારે જેતલસર જંકશન રેલવે પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શિવરાત્રીના મેળામાંથી ઘરે જવા માટે કારમાં ચાર લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે પૂરફાટ ઝડપે કાર જેતલસર રેલવે ઓવરબ્રિજની દીવાલ સાથે ધડાકા સાથે અથડાતા કારના બે ટુકડા થઈ ગયા હતા. કારના ટુકડા થઈને રોડની બે બાજુ ફંગોળાયા હતા. આ કારના દ્રશ્યો વિચલિત કરી શકે તેવા છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળે એક યુવાન અને યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા આશાસ્પદ યુવાનનું પણ સારવાર દરમિયાન મોત નીપજતા અરેરાટી પ્રસરી ગઈ છે. હજી એક યુવાનની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, રાજકોટના જેતપુરમાં આજે સવારે જેતલસર જંકશન રેલવે પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કાર અકસ્માતના બનાવમાં યુવક અને યુવતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ. જ્યારે બે ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં એક યુવાનનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારના બે ભાગ થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢના મહા શિવરાત્રિના મેળામાંથી પરત ફરી રહેલા યુવક-યુવતીની કારનો જેતપુરના જેતલસર જંકશન રેલવે પુલ પર અકસ્માત થયો હતો. જેમાં મુસ્કાન બગડા અને અરુણ વાળા નામના યુવક-યુવતીના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.. જ્યારે અમિત પરમાર અને જયદીપ ચૌહાણ નામના બે યુવકો ગંભીર રીત ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક યુવાનનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાર પુલ પર ડિવાઈડર સાથે એટલી ભયાનક રીતે ટકરાઈ હતી કે કારના બે ટુકડા જ થઈ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


