
- શાહીબાગ ડફનાળા નજીક પ્લેનની ટેલ ઝાડમાં ફસાઈ ગઈ,
- ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધી રસ્તો બંધ કરવો પડ્યો,
- રોડ બંધ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
અમદાવાદઃ શહેરમાં ગઈ તા. 12મી જુનના રોજ એરપોર્ટ નજીક બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં આવેલી મેડિકલના વિદ્યાર્થીઓ માટેની મેસના બિલ્ડિંગ સાથે એર ઈન્ડિયાનું લંડન જતુ વિમાન ક્રેશ થયું હતું, ક્રેશ થયેલા AI 171 પ્લેન ક્રેશના કાટમાળને હટાવવાની કામગીરી દરમિયાન એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પ્લેનના ટેલ ભાગને લઈ જતી ટ્રક શાહીબાગ ડફનાળા નજીક ACB કચેરી સામેના એક ઝાડમાં ફસાઈ ગઈ હતી. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ટેલને ઝાડમાંથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી, જેના માટે શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો બંધ કરવો પડ્યો હતો. જોકે, પોલીસે અને ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને ટેલના ભાગને સફળતાપૂર્વક હટાવી ત્યાંથી રવાના કરી દીધો હતો.
અમદાવાદમાં 10 દિવસ પહેલા પ્લેન ક્રેશનો દુઃખદ બનાવ બન્યો હતો. આ દૂર્ઘટનામાં વિમાનમાં પ્રવાસ કરી રહેલા 241 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ હવે DGCA ની ટીમ દ્વારા ઘટનાસ્થળેથી વિમાનનો કાટમાળ ટ્રકમાં એરપોર્ટ લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે ઝાડ સાથે વિમાની ટેલ અથડાતા ટ્રક અટકી ગઈ હતી. આ ઘટના શાહીબાગમાં એસીબીની કચેરી નજીક બની હતી. વિમાનનો કાટમાળ એક ટ્રક પર લઈ જવામાં આવી રહ્યો હતો. જોકે અકસ્માતને પગલે શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો ઠપ થઇ ગયો હતો અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાવા લાગ્યા હતા. ત્યારબાદ પોલીસે એક સાઈડનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.
DGCA ની ટીમ કાટમાળ ખસેડી રહી છે. ક્રેશ સાઇટથી ખસેડી તે એરપોર્ટ ખાતે એક ખાસ સ્થળે મૂકવામાં આવી રહ્યો છે. વિમાન ક્રેશના કારણોની તપાસ સુધી DGCA પાસે જ રહેશે. એરપોર્ટ ખાતે વિમાનને રાખવા ખાસ ગોડાઉન બનાવવામાં આવ્યું છે. સ્થાનિક એજન્સીઓ, પોલીસ, ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય રહી મદદ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં ગઈ તા. 12મી જુનો એર ઈન્ડિયાની પ્લેન ક્રેશ દુર્ઘટનાએ તમામને હચમચાવી દીઘા હતા. પ્લેનનો કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અંદરથી એક એર હોસ્ટેસનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને ફાયર વિભાગ અને NDRFના કર્મચારીઓએ કટર મશીનથી છૂટો પાડી, દોરડાથી ખેંચી આ મૃતદેહ બહાર કાઢ્યો હતો, જેની સ્થિતિ અરેરાટી ઊપજાવે એવી હતી. આ વિમાન દુર્ઘટનાથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. વિમાન દુર્ઘટનામાં ફક્ત વિમાનમાં સવાર લોકોએ જ જીવ ગુમાવ્યો નહોતો, પરંતુ અમદાવાદની મેડિકલ કોલેજમાં કેટલાક ડોકટરોએ પણ જીવ ગુમાવ્યો, કારણ કે વિમાન મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું હતું.