
- કિશોરી તેની 11 વર્ષની ભત્રીજી સાથે કપડાં ધોવા તળાવ પર આવી હતી
- ભત્રીજી ડુબતા તેણીને બચાવવા કિશોરીએ તળાવમાં ઝંપલાવ્યું હતુ
- બન્નેના મોતથી ગામમાં ગમગીની વ્યાપી ગઈ
પાટણઃ શંખેશ્વર તાલુકાનાં લોલાડા ગામે કપડાં ધોવા માટે ગામનાં તળાવ પર ગયેલી એક કિશોરી અને તેની 11 વર્ષની ભત્રીજીના પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યા હતા. તળાવમાં ડૂબી ગયાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા, અને સ્થાનિક તરવૈયાઓએ તળાવનાં પાણીમાં કિશોરી અને તેની ભત્રીજીની શોધખોળ કરી હતી. એકાદ કલાક બાદ ડૂબી ગયેલી કિશોરી અને ભત્રીજી મળી હતી તેમને તાત્કાલિક 108માં શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાઈ હતી. પરંતુ બંનેના મોત નિપજ્યા હતા.
આ બવાનની વિગતો એવી છે કે, શંખેશ્વરના લોલાડા ગામે રહેતાં બજાણીયા પરિવારની સંગીતાબેન રતુભાઈ બજાણીયા (ઉ.વ. 15), અને જયશ્રીબેન નવઘણભાઈ બજાણીયા (ઉ.વ.11) મંગળવારે બપોરે 2:30 નાં અરસામાં ગામનાં કપુરીયા તળાવ પર કપડાં ધોવા માટે ગયા હતા તે વખતે જયશ્રીબેન તળાવમાં નાહવા જતાં પાણીમાં ડૂબી જતાં તેની ફોઇ સંગીતાબેન તેને બચાવવા માટે જતાં તે પણ પાણીમાં ડૂબી ગઈ હતી.આ બંને ફોઈ ભત્રીજી તળાવમાં ડૂબી હોવાની ત્યાં કપડાં ધોતી બીજી છોકરીઓને જાણ થતાં તેમણે બુમાબુમ કરતાં ઘટનાની ગામના લોકોને જાણ થઈ હતી. ગ્રામલોકોએ તેના પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા.ગામનાં સ્થાનિક તરવૈયાઓએ તળાવનાં પાણીમાં બંને બાળકીઓની શોધખોળ કરી હતી. એકાદ કલાક બાદ ડૂબી ગયેલી ફઈ-ભત્રીજી મળી હતી તેમને તાત્કાલિક 108માં શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાઈ હતી. પરંતુ બંનેના મોત નિપજ્યા હતા.
આ ઘટનાની શંખેશ્વર તાલુકા પંચાયતના વિપક્ષ નેતા બહાદુરસિંહ ચૌહાણે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા બંને અધિકારીઓ સીએચસી ખાતે પહોંચ્યા હતા. આરોગ્ય કેન્દ્ર ખાતે બંને બાળકીઓનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.શંખેશ્વર પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધ કરી હતી.