
- મીઠાના અગરો પર વરસાદી પાણી ફરી વળ્યા
- અગરિયાઓ રણ વિસ્તારમાંથી પોતાના વતન પરત ફર્યા
- રણ વિસ્તારમાં પાણી ભરાતા હવે વાહનો પણ જઈ શકે તેવી સ્થિતિ નથી
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પાટડી, ખારાઘોડા, ઝિંઝુવાડા સહિતનો રણ વિસ્તાર કચ્છના નાનારણ તરીકે ઓળખાય છે. ઉનાળા દરમિયાન કચ્છના નાનારણ વિસ્તારમાં મીઠાની સીઝન ધમધોકાર ચાલતી હોય છે, અનેક અગરિયાઓ પરિવાર સાથે રણમાં કાળી મજુરી કરીને મીઠું પકવતા હોય છે. રણ વિસ્તારમાં આ મહિનામાં બેવાર કમોસમી વરસાદ પડતા અફાટ રણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તેના લીધે મીઠા ઉદ્યોગને વ્યાપક નુકસાન થયું છે. અગરિયાઓ પણ પરિવાર સાથે પોતાના વતન પરત ફરી ગયા છે. રણ વિસ્તારમાં પાણી ભરાયેલા હોવાથી હાલ વાહનો પણ ચાલી શકે તેવી સ્થિતિ નથી.
કચ્છના નાના રણમાં મે મહિનામાં બે વખત કમોસમી વરસાદ પડ્યો છે. આ વરસાદના કારણે અગરિયા સમુદાયને મોટું નુકસાન થયું છે. રણમાં દર વર્ષે 30 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. 20 મે ના રોજ થયેલા વરસાદથી ખારાઘોડા, ઝીંઝુવાડા, સાંતલપુર અને માળિયા વિસ્તારમાં અંદાજે 4 લાખ ટન મીઠું અટવાઈ ગયું છે. વરસાદના કારણે મીઠાના પાટામાંથી મીઠું ખેંચવાની કામગીરી અટકી ગઈ છે. પાણી ભરાવાથી મીઠું ઉપાડવા માટે ટ્રક રણમાં ઊંડે સુધી જઈ શકતી નથી. હાલમાં કુલ વાર્ષિક ઉત્પાદનનું 35 ટકા મીઠું રણમાં પડ્યું છે. મીઠા ઉત્પાદકો સાથેની શરત મુજબ 31 મે સુધી મીઠાને થતું નુકસાન અગરિયાઓએ ભોગવવાનું હતું. આથી કમોસમી વરસાદથી અગરિયાઓને આર્થિક નુકસાન થયું છે.
અગરિયાઓએ જણાવ્યું કે, મીઠાની ખળીઓમાં પાણી ભરાઈ ગયું છે. જ્યાં દંતાળો ફરતો હતો ત્યાં વરસાદનું મીઠું પાણી ભરાઈ ગયું છે. હજુ પણ વાવાઝોડા અને વરસાદની આગાહી છે. આથી અગરિયાઓ વધુ નુકસાનની ચિંતામાં છે. તંત્ર દ્વારા નુકસાનની કોઈ તપાસ થઈ નથી.