
જૈન-એ-મોહમ્મદ મામલે અમેરિકન સાંસદે બિલાવલ ભુટ્ટોને આકરી ટકોર કરી
વોશિંગ્ટન: બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વમાં અમેરિકાના પ્રવાસે વોશિંગ્ટન ડીસી પહોંચેલા પાકિસ્તાની પ્રતિનિધિમંડળને વરિષ્ઠ અમેરિકન સાંસદ બ્રેડ શેરમેને જણાવ્યું હતું કે પાકિસ્તાને “ઘૃણાસ્પદ” આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદને ખતમ કરવા માટે “દરેક પ્રયાસ” કરવા જોઈએ તેમજ ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. પાકિસ્તાની પ્રતિનિધિમંડળે કોંગ્રેસમેન બ્રેડ શેરમેને મુલાકાત કરી હતી. ભારતના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે મુખ્ય વાર્તાલાપકારોને ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલાને પગલે પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા આતંકવાદ સામે લડવાના ભારતના દૃઢ નિશ્ચય વિશે માહિતી આપી હતી.
X પર એક પોસ્ટમાં, શેરમેને લખ્યું કે તેમણે “પાકિસ્તાની પ્રતિનિધિમંડળને આતંકવાદ સામે લડવા અને તેને ખતમ કરવા વિનંતી કરી હતી, ખાસ કરીને જૈશ-એ-મોહમ્મદ જૂથ, જે આતંકવાદી જૂથે 2002 માં ડેનિયલ પર્લની હત્યા કરી હતી.” આતંકવાદી ઓમર સઈદ શેખને 2002 માં વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટર ડેનિયલ પર્લના અપહરણ અને હત્યાનું કાવતરું ઘડવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. શેરમેને કહ્યું કે પર્લનો પરિવાર હજુ પણ મારા જિલ્લામાં રહે છે અને “પાકિસ્તાને આ દ્વેષપૂર્ણ જૂથને ખતમ કરવા અને પ્રદેશમાં આતંકવાદનો સામનો કરવા માટે શક્ય તેટલું બધું કરવું જોઈએ.”
યુએસ સાંસદે પાકિસ્તાની પ્રતિનિધિમંડળને એમ પણ કહ્યું કે, “પાકિસ્તાનમાં રહેતા ખ્રિસ્તીઓ, હિન્દુઓ અને અહમદિયા મુસ્લિમોને હિંસા, અત્યાચાર, ભેદભાવ અથવા અસમાન ન્યાય વ્યવસ્થાના ભય વિના તેમનો ધર્મ પાળવા અને લોકશાહી વ્યવસ્થામાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ.” શેરમેને પાકિસ્તાની પ્રતિનિધિમંડળને વિનંતી કરી કે તેઓ તેમની સરકારને ડૉ. શકીલ આફ્રિદીને મુક્ત કરવાની જરૂરિયાત જણાવે, જેઓ ઓસામા બિન લાદેનને મારવામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં મદદ કરવા બદલ જેલમાં બંધ છે. “ડૉ. આફ્રિદીને મુક્ત કરવો એ 9/11 ના પીડિતો માટે એક મહત્વપૂર્ણ પગલું છે,” તેમણે કહ્યું હતું.
ડૉ. શકીલ આફ્રિદી એક પાકિસ્તાની ચિકિત્સક છે જેણે બિન લાદેનના પરિવારના ડીએનએ નમૂના એકત્રિત કરવા માટે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલિયો રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં સીઆઈએને મદદ કરી હતી. મે 2011 માં એબોટાબાદમાં બિન લાદેનના કમ્પાઉન્ડ પર યુએસના દરોડા પછી તરત જ પાકિસ્તાની અધિકારીઓ દ્વારા આફ્રિદીની ધરપકડ કરવામાં આવી હતી. 2012 માં, પાકિસ્તાનની એક કોર્ટે આફ્રિદીને 33 વર્ષની જેલની સજા ફટકારી હતી.
અમેરિકા પહોંચેલા પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા બિલાવલ ભુટ્ટોએ ભારતને ધમકી આપી હતી કે વિશ્વનો કોઈ પણ દેશ, ભલે તે ગમે તેટલો મોટો કે શક્તિશાળી હોય, જો તેના પાણી અને ભવિષ્યને જોખમમાં મૂકવામાં આવે તો ચૂપ રહેશે નહીં, દરેક દેશ તેના પાણી માટે યુદ્ધ લડશે. ભુટ્ટોએ કહ્યું કે પાણી માટેનું યુદ્ધ અત્યાર સુધી સિદ્ધાંત સુધી મર્યાદિત હતું, પરંતુ ભારત પાકિસ્તાનને પાણી પુરવઠો બંધ કરીને અસ્તિત્વના સંઘર્ષનો પાયો નાખી રહ્યું છે, જે પરમાણુ યુદ્ધમાં પરિણમી શકે છે.