‘મતદાર યાદીમાંથી મતદારોના નામ ઓનલાઈન કાઢી ના શકાય, ચૂંટણીપંચનો રાહુલ ગાંધીને જવાબ
નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી આયોગે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવેલા આક્ષેપોને સખત શબ્દોમાં ખંડન કર્યું છે. આયોગે સ્પષ્ટતા કરી છે કે મતદાર યાદીમાંથી કોઈપણ નામ ઓનલાઇન માધ્યમથી દૂર કરી શકાય તેમ નથી અને રાહુલના આક્ષેપો સંપૂર્ણપણે ખોટા તથા નિરાધાર છે.
ચૂંટણી આયોગે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે, “લોકસભાના નેતા રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ ખોટા અને નિરાધાર છે. કોઈપણ મતદારનું નામ પ્રભાવિત વ્યક્તિને સાંભળ્યા વિના દૂર કરી શકાતું નથી. જનતા દ્વારા ઓનલાઇન કોઈપણ મત કાઢી શકાતો નથી.” જો કે, આયોગે સ્વીકાર્યું કે કર્નાટકની અલંદ વિધાનસભા ક્ષેત્રમાં 2023માં મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનો કેટલાક અસફળ પ્રયાસ થયો હતો. આ ઘટનાની તપાસ માટે ચૂંટણી આયોગે જાતે જ એફઆઈઆર નોંધાવી હતી. નોંધનીય છે કે અલંદ બેઠક 2018માં ભાજપના સુભાષ ગુટ્ટેદાર અને 2023માં કોંગ્રેસના બી.આર. પાટીલ જીત્યા હતા.
રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર “વોટ ચોરોને અને લોકશાહી નાશ કરનારા લોકોને બચાવી રહ્યા છે”. તેમણે દાવો કર્યો હતો કે કૉંગ્રેસ સમર્થકોના મત વ્યવસ્થિત રીતે દૂર કરવામાં આવી રહ્યા છે. અલંદ બેઠકના આંકડા દર્શાવતા રાહુલે જણાવ્યું કે ચૂંટણી પહેલાં 6,018 મત ઓનલાઇન ડિલીટ કરવાનો પ્રયાસ થયો હતો. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે તે મોબાઇલ નંબર પણ જાહેર કર્યા હતા, જેનો ઉપયોગ આ પ્રયાસ માટે થયો હોવાનું કહેવાય છે.


