
- સફાઈ કામદાર મહિલા નોકરી કરવા માટે જઈ રહી હતી,
- અકસ્માત બાદ કારનો ચાલક નાસી ગયો,
- રાહદારીઓએ 108 ઈમરજન્સીને જાણ કરી
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનીવો વધતા જાય છે. જેમાં માધૂપુરા વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. શહેરના માધુપુરા વિસ્તારમાં પૂરપાટ દોડતી કારે 49 વર્ષીય એક મહિલાને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. મહિલાની ઓળખ ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ તરીકે થઇ હતી જે સફાઈ કામદાર તરીકે ફરજ પર જઈ રહ્યા હતા. ત્યારે કારચાલકે તેમને અડફેટે લીધા હતા. આ ઘટનાને પગલે લોકો રોષે ભરાયેલા સફાઈ કામદારોએ ટ્રાફિકના કડક રીતે નિયમોનું પાલન અને પીડિતને ન્યાય અપાવવા કાર્યવાહીની માગ કરતા દેખાવો કર્યા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વહેલી સવારે માધુપુરા નજીક દરિયાપુર વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોર નજીક પૂરફાટ ઝડપે આવેલા કારચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતા તેનું મોત નિપજ્યુ હતુ. આ અકસ્માતમાં મૃત્યુ પામનારા સફાઈ કામદાર મહિલા ડાહીબેન મ્યુનિસિપાલિટીમાં તેમની ફરજના ભાગરૂપે હાજરી નોંધાવવા જઇ રહ્યા હતા. બીઆરટીએસમાંથી ક્રોસ થતી વખતે પૂરપાટ ઝડપે દોડતી કારે તેમને ટક્કર મારી હતી. ડાહીબેનને કારચાલકે એટલી ભયાનક રીતે ટક્કર મારી હતી કે જેના કારણે તેમને માથા, ગળા, ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. જોકે પછીથી ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના કબેવા મુજબ આ અકસ્માતમાં રાહદારીઓએ ઘટનાસ્થળે ત્વરિત ભેગા થઇને 108 ઇમરજન્સી સર્વિસને કૉલ કરી બોલાવી હતી અને પીડિતને અસારવા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓને કારણે ડૉક્ટરો તેમને બચાવી ના શક્યા. ડાહીબેનની દીકરી નિકિતા ચૌહાણે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આરોપીની ઓળખ શશાંક સંજય રાય તરીકે થઇ હતી. જે નરોડાનો રહેવાસી છે. પોલીસે ફરિયાદ બાદ તેની ધરપકડ કરી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.