1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ત્રણ ફેકટરીમાંથી 10.000 કિલો નકલી ઘી પકડાયુ, 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
સુરતમાં ત્રણ ફેકટરીમાંથી 10.000 કિલો નકલી ઘી પકડાયુ, 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરતમાં ત્રણ ફેકટરીમાંથી 10.000 કિલો નકલી ઘી પકડાયુ, 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

0
Social Share
  • સુરતના અમરોલી અને કોસાડ વિસ્તારમાં નકલી ઘીના ફેટકરીઓ ધમધમતી હતી,
  • એસઓજીએ ફેટકરી અને ગોદામ પર પાડ્યા દરોડા,
  • દાણાદાર ઘી બનાવવા 4 પ્રકારના કેમિકલ-કલરનો ઉપયોગ કરાતો હતો

સુરતઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ વધતી જાય છે. નકલી પનીર, નકલી ઘીનો કારોબાર વધતો જાય છે. ત્યારે સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી પકડીને 10 હજાર કિલો નકલી ધીનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે નકલી ઘી વેચવાના કૌભાંડનો પડદાફાશ કરીને 1.5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરત શહેરના અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી-જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી અને એનાં ગોડાઉનો પર SOGની ટીમે દરોડા પાડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાર પાડેલા આ કૌભાંડમાં 1.5 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે જ SOGએ ચાર આરોપીને પણ ઝડપી પાડ્યા છે. હાલ આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બે વર્ષથી નકલી ઘીની ફેટકરીઓ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ભેળસેળિયા ઘીનું વેચાણ ગુજરાતમાં જ નહિ, પણ મહારાષ્ટ્રની બજારમાં કરવામાં આવતું હતું. ઘીને દાણાદાર અને સુગંધ યુક્ત બનાવવા માટે કેમિકલ અને કલરનો ધૂમ ઉપયોગ થતો હતો. પોલીસના કહેવા મુજબ નકલી ઘીમાં કેમિકલનું મિશ્રણ વધુ હતુ તેના લીધે ઘી ખાનારાઓને કેન્સર થવાની પૂરી સંભાવના છે. તહેવારને લઈ ઘીની ડિમાન્ડને પહોંચી વળવા માટે ત્રણેય ફેક્ટરીમાં 24 કલાક પ્રોડક્શન ચાલતુ હતું.

પોલીસે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચાર આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં જયેશકુમાર રમેશચંદ્ર મહેસૂરિયા (ઉં.વ. 38, રહે. સૂર્યાંજલી રેસિડેન્સી, અમરોલી), અંકિતભાઈ ટેકચંદભાઈ પંચીવાલા (ઉં.વ.36, રહે. વાઇટ પેલેસ એપાર્ટમેંટ, અમરોલી), સુમીતકુમાર જયેશભાઈ મહેસૂરિયા (ઉં.વ.35, રહે. સન રેસિડેન્સી, અમરોલી), દિનેશકુમાર તેજાજી ગેહલોત (ઉં.વ. 32, રહે. ઈવા એમ્બ્રો પાર્ક, અમરોલી) છે. તમામ આરોપીઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસાના રહીશો છે.

સુરત SOG પોલીસે રેડ દરમિયાન ભેળસેળયુક્ત ડુપ્લિકેટ ઘી 9919 કિલોગ્રામ, જેની કિંમત આશરે 67,00,550 છે. આ સાથે ડુપ્લિકેટ ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં મશીનો અને કાચા માલ મળીને કુલ 53,55,950ની મત્તાનો મુદ્દામાલ છે, કુલ કબજે કરેલી મત્તા રૂ. 1,20,56,500ની છે.

SOGના પીઆઇએ આ સમગ્ર કૌભાંડની વિગતો આપતાં જણાવ્યું હતું કે આ નકલી ઘીમાં દૂધ જેવી કોઈ વસ્તુ જ નહોતી. આરોપીઓ માત્ર આર્થિક ફાયદા માટે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. આ નકલી ઘી મુખ્યત્વે વનસ્પતિજન્ય તેલો, જેમ કે પામોલીન તેલ અને કોરમ નામના કેમિકલનું મિશ્રણ કરીને બનાવવામાં આવતું હતું. લોકોને એવું લાગે કે તેઓ ગાય કે ભેંસનું શુદ્ધ ઘી ખરીદી રહ્યા છે, એના માટે આરોપીઓ ખાસ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતા હતા, જે ઓરિજિનલ ઘી જેવી આબેહૂબ ગંધ પેદા કરતું હતું. ગ્રાહકોને છેતરવા માટે ઘીને ઓરિજિનલ દેશી ઘી જેવો પીળો રંગ આપવા માટે એમાં કલર ભેળવવામાં આવતો હતો. નકલી ઘીને પણ ઓરિજિનલ ઘી જેવું દાણાદાર બનાવવા માટે આરોપીઓ SS નામનું કેમિકલ વાપરતા હતા. આ કેમિકલ અને કલરના ઉપયોગથી બનતું ઘી એટલું જોખમી છે કે કેન્સર થઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code