
- મોટાભાગની સિટી બસ સેવા બંધ બોવાથી કોન્ટ્રાકટરોને રોજનો 14.80 લાખનો દંડ,
- શહેરમાં હાલ માત્ર 86 બસો જ સંચાલનમાં છે
- RMCના સત્તાધિશો માત્ર કોન્ટ્રાકટરોને દંડ કરીને સંતાષ માની રહ્યા છે
રાજકોટઃ શહેરમાં થોડા દિવસ પહેલા સિટીબસનો અકસ્માત સર્જાયો હતો. સિટીબસના ચાલકે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરીને અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ બનાવ બાદ મ્યુનિએ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેતા સીટીબસના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરો કામથી વેગળા થઈ ગયા હતા. હાલ મ્યુનિની 234માંથી 148 સિટીબસો ડ્રાઈવરોના અભાવે બંધ પડી છે. માત્ર 86 સિટીબસો સંચાલનમાં છે. તેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
શહેરના ઇન્દિરા સર્કલ પાસે સર્જાયેલા સિટીબસનાં અકસ્માત બાદ ખોરવાયેલી સિટીબસ સેવા યોગ્ય રીતે પૂર્વવત થઇ નથી. અગાઉ ગરમીના કારણે બંધ થયેલી બસો રિપેરિંગ થયા બાદ હવે ડ્રાઈવરોનાં અભાવે 234 પૈકી 148 બસો બંધ છે. મ્યુનિ. દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને આ માટે દરરોજ રૂ. 14.80 લાખનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ અંગે મ્યુનિના સિટીના કહેવા મુજબ શહેરમાં દોડતી 234 બસો પૈકી હાલ 148 જેટલી બસો બંધ છે અને માત્ર 86 બસો કાર્યરત છે. જેમાંથી કુલ 15 બસો BRTS રૂટ ઉપર અને બાકીની રાજકોટનાં જુદા-જુદા વિસ્તારોમાં દોડાવવામાં આવી રહી છે. નિયમ મુજબ જો કોઈપણ બસ 200 કિમી ચાલે નહીં તો એજન્સીને પ્રતિ બસ રૂ.10,000 દંડ ફટકારવામાં આવે છે. જે મુજબ હાલ એજન્સીને દરરોજ રૂ.14.80 લાખનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં સિટીબસ સેવા રાબેતા મુજબ ચાલુ કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે. જોકે ડ્રાઈવરોનો પ્રશ્ન હોવાને લઇ તેમાં કેટલો સમય લાગશે તે કહેવું મુશ્કેલ છે.
રાજકોટ શહેરમાં સીટીબસ સેવામાં નવી સેફ્ટી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. આ નિયમો અનુસાર, કોઈ પણ ડ્રાઈવર સતત 8 કલાકથી વધુ કામ કરી શકે નહીં. આ નિયમને કારણે હાલમાં 70 જેટલા ડ્રાઈવર કામ પર આવી રહ્યા નથી, કારણ કે તેઓ વધુ કલાકો સુધી કામ કરવા ઈચ્છે છે. જો કે, નિયમોનું ઉલ્લંઘન કરીને વધુ કામ લઈ શકાય તેમ ન હોવાથી આ ડ્રાઈવરો હાલમાં સેવામાં જોડાયા નથી.