
- દાણીલીમડાની મહિલાનું 4 દિવસ પહેલાં મોત થયાનો ઘટસ્ફોટ
- 18 વર્ષીય ગર્ભવતી યુવતીનું પણ કોરોનાથી મોત
- રાજકોટમાં કોરાનાના 7 કેસ નોંધાયા
અમદાવાદઃ ગુજરાતમાં ભૂતકાળમાં કોરોનાએ અનેક માનવ જીન્દગીનો ભોગ લીધો હતો. ત્યારે લોકો હજુપણ કોરોનાને ભૂલ્યા નથી. ત્યારે ગુજરાતમાં ફરીવાર કોરોનાના કેસો નોંધાતા લોકો ચિંતિત બન્યા છે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 197 નોંધાયા છે. જેમાં કોરોનાથી બે મહિલાના મોત નીપજ્યા છે. એક મહિલા દાણીલીમડા વિસ્તારમાં રહેતી હતી અને 47 વર્ષના હતા. જ્યારે અન્ય યુવતી 18 વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં કોવિડ-19થી 47 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે 18 વર્ષની યુવતીનું પણ કોરોનાને કારણે મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓએ મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું છે કે, આ વર્ષે શહેરમાં કોવિડને કારણે આ પહેલું મૃત્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના દાણીલીમડાનાં 47 વર્ષીય મહિલાનું કોરોનાને લીધે મૃત્યુ 28મી મેના રોજ થયું હતું. એએમસીના હેલ્થ વિભાગ દ્વારા માહિતી છૂપાવવામાં આવતી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. જ્યારે શહેરના વિંઝોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય ગર્ભવતી યુવતી બે દિવસ પહેલાં શ્વાસોશ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને ત્યાર બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વહેલી સવારે યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. આમ અમદાવાદ શહેરમાં કોરોનાને લીધે બે મહિલાના મોત નિપજ્યા છે.
સૂત્રોના કહેવા મુજબ દાણીલીમડાના શાહઆલમ વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહિલાનું પણ કોરોનાથી મોત થયું છે. મૃતક મહિલા 23 મેએ સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. મૃતક મહિલાને હાઇપરટેન્શન અને બીપી જેવી બીમારી પણ હતી. ગુજરાતના અન્ય શહેરોમાં પણ કોરોના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 7 નવા કોરોનાના કેસ નોંધાયા હતા, જેમાં 4 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આજે વધુ 2 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 44 થઈ ગઈ છે. જોકે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોવિડ હવે જીવનનો હિસ્સો છે. વર્ષે-બે વર્ષે આવો એકાદ મહિનો આવતો રહે છે.