સુરત, 8 એપ્રિલ 2026: 4 killed as eco-car hits parked truck રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરતના પલસાણાના દસ્તાન ગામ નજીક ભારત માલા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દસ્તાન ગામની સીમમાંથી પસાર થતા ભારતમાળા એક્સપ્રેસ હાઈવે પર ગત મોડી રાત્રે હાઈવે પર ઉભેલા એક આઈશર ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ઈકો કાર ધડાકાભેર ઘૂસી જતાં ખંભાતના વતની એવા દાઉદી વ્હોરા પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે ટાયર ફાટવાને કારણે ઉભેલા આઈશર ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવતી ઈકો કાર અથડાતા ખંભાતના એક જ પરિવારના 4 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો તેમજ 108 એમ્બ્યુલન્સ દોડી આવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આણંદ જિલ્લાના ખંભાત ખાતે કાદરપુરા મહોલ્લામાં રહેતો દાઉદી વ્હોરા સમાજનો પરિવાર મુંબઈની હોસ્પિટલમાં સારવાર કરાવીને મોડી રાત્રે ઈકો કાર (GJ 23 BL 0679) માં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન દસ્તાન ગામ પાસે ભારતમાળા હાઈવે પર ટાયર ફાટવાને કારણે રોડ સાઈડ પર ઉભેલા ટ્રક (GJ 16 AW 3448) પાછળ ઈકોકાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર ચારેય સભ્યોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પલસાણા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


