ગાંધીનગરમાં નર્મદા કેનાલમાં બે બનાવોમાં 4 યુવાનો ડૂબ્યા, ત્રણની લાશ મળી, એક લાપત્તા
ગાંધીનગર, 31 માર્ચ 2026: 4 youths drown in two incidents in Narmada Canal જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે અલગ અલગ બનાવમાં ચાર યુવાનો ડૂબી ગયા છે. બે યુવાનોની લાશ કેનાલમાંથી મળી આવી હતી. ત્યારે ગઈકાલે વધુ એક યુવાનની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી મળી આવી હતી. હજી પણ ચોથા યુવાનની લાશ મળી આવી નથી. હાલમાં તો આ ઘટનામાં બે પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. આ બંને મામલે ડભોડા પોલીસ તપાસ ચલાવી રહી છે.
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબવાના બે અલગ-અલગ બનાવોમાં કુલ ચાર યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં બે યુવાનોની લાશ કેનાલમાંથી મળી આવી હતી. ત્યારે ગઈકાલે વધુ એક યુવાનની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી મળી આવી હતી. હજી પણ ચોથા યુવાનની લાશ મળી આવી નથી. તેની શાધખોળ કરવામાં આવી રહી છે. હાલમાં તો આ ઘટનામાં બે પરિવારોમાં માતમ છવાઈ ગયો છે.
આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા બે પરણિત ભાઈઓ નિખિલ અને નીરજ વચ્ચે દારૂ પીવાની કુટેવ બાબતે બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી નીરજ ઘર છોડીને રાયપુર કેનાલ પર પહોંચ્યો હતો અને જોતજોતામાં કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી. દરમિયાન નાના ભાઈને બચાવવા માટે મોટો ભાઈ નિખિલ પણ પાછળ કૂદ્યો હતો, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. પાણીના ધસમસતા પ્રવાહમાં બંને ભાઈઓ ગરકાવ થઈ ગયા હતા. નિખિલની લાશ અગાઉ મેદરા કેનાલમાંથી મળી હતી, જ્યારે નીરજનો મૃતદેહ છેક જાસપુર પાસે કેનાલમાંથી મળ્યો હતો.
બીજા બનાવમાં મૂળ ધોલેરાના અને હાલ અમદાવાદમાં રહેતા બે પિતરાઈ ભાઈઓ પણ કેનાલમાં ડૂબ્યા હતા. સુનીલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા કેનાલ કાંઠે હાથ-પગ ધોવા ઉતર્યા હતા, ત્યારે એક ભાઈનો પગ લપસતા તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ ડૂબ્યો હતો. તંત્ર દ્વારા હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં સુનીલનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ રોશન આંબલીયા હજુ પણ લાપતા છે.
ડભોડા પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાણીનો પ્રવાહ તેજ હોવાથી મૃતદેહો તણાઈને કિલોમીટરો દૂર પહોંચી ગયા હતાં. નીરજ વાઘેલાની લાશ જાસપુર સુધી તણાઈને આવી હતી. હાલમાં રોશનની શોધખોળ ચાલુ છે.


