
- 793 દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં,
- 78 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા,
- શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતીમાં દુખાવો થાય તો હેલ્થ વિભાગનો સંપર્ક કરવો
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે. ગઈકાલે શનીવારે રાજ્યમાં કોરોનાના કુલ 183 જેટલા કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ 822 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 29 જેટલા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 793 દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. બીજી તરફ આજે 78 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. એવું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
ગુજરાતમાં હાલ ગરમ-ઠંડી મિશ્રિક ઋતુ તેમજ હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા લોકોમાં તાવ-ઉધરસ-ખાંસી ઉપદ્રવ વધી રહ્યો છે. જેમાં કેટલાક લોકો કોરોનાના સંક્રમિત બની રહ્યા છે. જેકે વસતીના પ્રમાણમાં આ આંકડો ખૂબજ ઓછો છે. પણ લોકોએ સાવચેતિ રાખવી જરૂરી છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જે પણ કોરોના દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે તેઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વનિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું. સાથે જ જે પણ દર્દીને ઘરે શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતીમાં દુખાવો થાય તેમણે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. સાથે જ લોકોએ પણ છીંક કે ખાંસી ખાતા સમયે મોઢું ઢાંકીને રાખવું અને જાહેર સ્થળોએ થૂંકવા માટે પણ મનાઈ કરવામાં આવી છે. આ સાથે કોરોનાથી બચવા માટે આપણે સૌએ અવારનવાર સાબુથી હાથ ધોતા રહેવું અને સેનિટાઇઝરનો ઉપયોગ પણ કરતા રહેવું જોઈએ. ખાસ કરીને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તે લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ અથવા તો ભીડવાળી જગ્યાઓ પર ખાસ કરીને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
રાજ્યમાં હાલ જે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તે ઓમિક્રોનનો પેટા ટાઈપ વેરિઅન્ટ JN.1, LF 7, LF 7.9 અને XFG Recombinant હોવાનો આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ વાયરસને કારણે શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે.