
- ભાવનગર જિલ્લામાં કુલ 53,600 હેક્ટરના ઉનાળુ વાવેતર
- તળાજા તાલુકામાં જ 20,307 હેક્ટરમાં ઉનાળુ વાવેતર
- તળાજા તાલુકાને શેત્રુંજી નહેર સિંચાઈનો વધુ લાભ મળતો હોય વાવેતરમાં વધારો
ભાવનગરઃ જિલ્લામાં ઉનાળુ વાવેતર 53,600 હેકટરમાં થયું છે. જેમાં બાજરી, મગફળી, તલ અને ઘાસચારા સહિત વિવિધ પાકોનું વાવેતર કરાયું છે. આ વખતે ઉનાળું વાવેતરમાં તળાજા તાલુકો મોખરે છે. જિલ્લાના કુલ વાવેતરમાં તળાજા તાલુકાનો જ હિસ્સો લગભગ 40% જેટલો થવા જાય છે. જેમાં મુખ્ય પાકોના વાવેતરમાં બાજરી, મગફળી અને તલનું તળાજા પંથકમાં સૌથી વધુ વાવેતર થયુ છે. તળાજા વિસ્તારને શેત્રુંજી નહેર સિંચાઈનો વધુ લાભ મળતો હોય જિલ્લાના કુલ અંદાજિત 53,600 હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજાનો હિસ્સો 20,307 હેક્ટરનો રહ્યો છે.
ખેતીવાડીના બારમાસી વાવેતરની દ્રષ્ટિએ ભાવનગર જિલ્લામાં ખરીફ (ચોમાસુ) સીઝનમાં સારા વરસાદની સ્થિતિએ સરેરાશ 4,38,000 હેક્ટરનું વાવેતર થાય છે અને ત્યારબાદ રવિ શિયાળુ સિઝનમાં અંદાજિત 1,50,000 હેક્ટરનુ વાવેતર થાય છે. પરંતુ ઉનાળુ વાવેતરના સમયે જમીનના પાણીના તળ ઊંડા ઉતરી ગયા હોય છે અને ભૂગર્ભજળમાં ખારાશ પ્રસરી જવાથી ખેતી લાયક પાણી પિયતના અભાવે ઉનાળુ વાવેતર ઘટીને અંદાજિત 50 થી 55 હજાર હેક્ટરમાં જ અટકી જાય છે આવા સંજોગોમાં ઉનાળુ વાવેતર વધારવા માટે ધરતીના ભૂગર્ભમાં જળ સંચયનું મહત્વ દરેક સ્તરે સ્વીકારાયેલ છે.
જિલ્લાના કૃષિ વિભાગનના સૂત્રોના કહેવા મુજબ ચાલુ વર્ષે ભાવનગર જિલ્લાના કુલ 53,600 હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકામાં જ 20,307 હેક્ટરનુ ઉનાળુ વાવેતર થયુ છે, જેમાં મુખ્યત્વે બાજરી 4,385 હેક્ટર, મગફળી 3,939 હેક્ટર, તલ 2,590 હેક્ટરમાં વાવેતર કરાયુ છે. જે જિલ્લામાં સૌથી વધુ છે જ્યારે ઘાસચારો પણ સૌથી વધુ 7,074 હેક્ટરમાં થયેલ છે તેમજ મગ 514 હેક્ટર, અડદ 143 હેક્ટર, ડુંગળી 213 હેક્ટર, શાકભાજી 1,008 હેક્ટર, શેરડી 48હેક્ટર તેમજ અન્ય પાકો નુ 393 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.