
દેશમાં પૂર વ્યવસ્થાપનના જોખમો ઘટાડવા આપત્તિ વ્યવસ્થાપન મંડળોને સંકલન સાધવા સૂચન કરાયું
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં દેશમાં પૂર વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં, અમિત શાહે દેશમાં પૂરના જોખમને ઘટાડવા માટે લેવામાં આવી રહેલા લાંબા ગાળાના પગલાં અને ગયા વર્ષે યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.ગઈકાલે એક નિવેદનમાં, ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, અમિત શાહે બેઠકમાં પૂર વ્યવસ્થાપન માટે તમામ એજન્સીઓ દ્વારા અપનાવવામાં આવેલી નવી તકનીકો અને તેમના નેટવર્કના વિસ્તરણની ચર્ચા કરી હતી.
અમિત શાહે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતનું આપત્તિ વ્યવસ્થાપન શૂન્ય જાનહાનિ અભિગમ સાથે આગળ વધી રહ્યું છે.તેમણે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળો અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળો સાથે સંકલન કરવા નિર્દેશ આપ્યો હતો જેથી પાયાના સ્તરે પ્રારંભિક ચેતવણીનો પ્રસાર સુનિશ્ચિત થાય. તેમણે NDMA અને NDRFને રાજ્યો સાથે સંપૂર્ણ સંકલનમાં કાર્યક્ષમ પૂર વ્યવસ્થાપન તરફ કામ કરવા જણાવ્યું. અમિત શાહે પૂર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપન માટે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા અવકાશ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર પણ ભાર મૂક્યો. શહેરી વિસ્તારોમાં પૂરની વધતી જતી ઘટનાઓનો ઉલ્લેખ કરતા, અમિત શાહે તમામ કેન્દ્રીય એજન્સીઓને આ શહેરોમાં પૂર નિયંત્રણ માટે જરૂરી, સમયસર પગલાં લેવા અને મોટા શહેરોમાં પૂર વ્યવસ્થાપન માટે એક વ્યાપક યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો.