સુરેન્દ્રનગર, 2 જાન્યુઆરી 2026: 130-year-old fort in Lakhtar has become dilapidated due to lack of maintenance જિલ્લાના લખતર શહેરમાં રાજાશાહી જમાનાનો વિરાસત સમો અંદાજિત 130 વર્ષથી વધુ વર્ષથી અડીખમ ઉભેલો કિલ્લો તંત્રની અને સરકારની ધ્યાન ન આપવાની નીતિને કારણે જાળવણીનાં અભાવે જર્જરિત બન્યો છે.ગઢની દીવાલમાંથી પથ્થર નીકળવા લાગ્યા છે. સરકાર દ્વારા પણ અગાઉ 100 વર્ષ કરતા જૂની ઈમારતોને હેરિટેજમાં સમાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. પણ લખતરના વિરાસત સમા કિલ્લાની કોઈ જ જાળવણી કરવામાં આવતી નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં અંદાજે 130 વર્ષથી ગામ ફરતે ગામની રક્ષા કરતો કિલ્લો અડીખમ ઉભેલો છે. આ ઐતિહાસિક કિલ્લો જાળવણીનાં અભાવે જર્જરિત થઇ રહ્યો છે. સ્થાનિક નગરજનો દ્વારા જિલ્લા કલેક્ટર, પંચાયત મંત્રી સહિતનાઓને આ કિલ્લાની જાળવણી અંગે રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ જ પગલા લેવાયા નથી. તંત્ર દ્વારા ઐતિહાસિક કિલ્લાની જાળવણી પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. તેના કારણે આ વિરાસત સમો કિલ્લો હવે ધીમે ધીમે વિનાશ તરફ જઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લખતરના ઠાકોર સાહેબ દ્વારા પણ આ કિલ્લો સરકાર હસ્તગત કરી જાળવણી કરે તે માટે લખીને આપવામાં આવેલું છે. પરંતુ તંત્ર ધ્યાન આપતું નથી. તેવામાં કિલ્લાના કોઠામાંથી પથ્થર નીકળવા, કાંગરા ખરવા લાગ્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. ત્યારે આ કિલ્લાની જાળવણી થાય તેવી માંગ ઉઠી રહી છે. ઐતિહાસિક કિલ્લાની કદર તંત્ર ક્યારે કરશે તેવા સવાલો ઉઠ્યા છે.


