અમરેલી, 11 માર્ચ 2026: A 5-year-old boy was killed after being attacked by a lioness જિલ્લામાં સિંહોની વસતીમાં વધારો થયા બાદ સિંહના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં સિંહણના હુમલામાં 5 વર્ષિય બાળકનું મોત નિપજ્યું હતું. જિલ્લાના ધારી તાલુકાના માણાવાવ ગામમાં સિંહણના હુમલાની ઘટના બની હતી. ગામની વાડી વિસ્તારમાં રમતા એક પાંચ વર્ષના બાળક પર સિંહણે હુમલો કરતા બાળકનું મોત થયું હતું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ ફેલાયો છે. જોકે વન વિભાગે ઠેર ઠેર પાંજરા મુકીને સિંહણને પાંજરામાં કેદ કરીને એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપી છે.
આ બનાવની વિગત એવી હતી કે, ધારી તાલુકાના માણાવાવ ગામની સીમમાં આવેલી એક વાડીમાં ખેતમજૂર પરિવારનો 5 વર્ષીય બાળક કટારા ધવલ રમતો હતો ત્યારે અચાનક એક સિંહણ ત્યાં આવી પહોંચી હતી. સિંહણે બાળક પર હુમલો કરી તેને ખેંચીને લઇ ગઇ હતી. સિંહણ બાળકને ખેતરમાં દૂર ઢસડીને લઇ ગઇ હતી. આ ઘટનામાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું મોત થયું હતું. ઘટનાની જાણ ગામલોકોમાં થતા ભારે દહેશત ફેલાઇ હતી. અને આ બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા સરસિયા રેન્જના RFO સહિત વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સિંહણને શોધવા માટે ત્રણ અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. વન વિભાગે આસપાસના વિસ્તારમાં પાંજરા પણ મુક્યા હતા જેથી હુમલાખોર સિંહણને ઝડપવામાં આવી શકે. વન વિભાગની ઝડપી કામગીરીને પગલે ગણતરીના કલાકોમાં જ સિંહણને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. સરસિયા રેન્જના RFO મિનેષ પટેલની ટીમે સિંહણને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. આ સિંહણને વધુ તપાસ અને સારવાર માટે જસાધર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.


