ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026: ગાંધીનગર-અમદાવાદ હાઇવે પર વલાદ ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા પ્રોઢને પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા પ્રોઢનું મોત નિપજ્યુ હતું. આ મામલે મૃતકના પૌત્રએ કારચાલક વિરુદ્ધ ડભોડા પોલીસ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની એવી વિગતો છે કે, ગાંધીનગરના વલાદ ગામની સીમમાં ગણેશપુરા ભઠ્ઠા વિસ્તારમાં રહેતા રણજીતભાઇ જીવણભાઇ ભરવાડના કુટુંબિક દાદા સગરામભાઇ હિન્દુભાઇ ભરવાડ સાંજે ચારેક વાગ્યાના અરસામાં પોતાના સબંધી અને ભાણેજ અનિલ (રહે. વટવા) ને મુકવા માટે હાઇવે પર ગયા હતા.અને ચામુંડા હોટલ પાસે રોડ ઓળંગી રહ્યા હતા ત્યારે અમદાવાદના નરોડા તરફથી આવતી એક કારે તેમને અડફેટે લીધા હતા.આ અકસ્માત સમયે પૌત્ર રણજીતભાઇ પોતાની મોટરસાયકલ લઇને હાઇવે પાસે જ ઉભો હતો. તેની નજર સામે જ પૂરપાટ ઝડપે આવતી કાર નંબર GJ-27-ED-2173 ના ચાલકે બેદરકારીપૂર્વક ગાડી હંકારી સગરામભાઇને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતા જ વૃદ્ધ રોડ પર ફંગોળાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા. બાદમાં તેમને 108 એમ્બ્યુલન્સ થકી તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે માથામાં ગંભીર ઇજાના કારણે ‘બ્રેઈન હેમરેજ’ થયાનું નિદાન થતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માત બાદ કાર ચાલક ઉભો રહ્યો હતો અને શરૂઆતમાં સમાધાનની વાતો ચાલતી હોવાથી પરિવારે તાત્કાલિક ફરિયાદ કરી નહોતી. પરંતુ દાદાનું મૃત્યુ નીપજતા પૌત્ર રણજીતભાઇ ભરવાડે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


