
બિહારમાં 2,400 મેગાવોટ ક્ષમતાનો ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટના વિકાસ અને સંચાલન માટે અદાણી પાવરે LOI મેળવ્યો
અમદાવાદ : ભારતના ખાનગી ક્ષેત્રની વિરાટ થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિ.ને બિહાર સ્ટેટ પાવર જનરેટશન કં.લિ. (BSPGCL) તરફથી નોર્થ બિહાર પાવર ડિસ્ટરિબ્યુશન કંપની લિ. (NBPDCL) અને સાઉથ બિહાર પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની લિ. (SBPDCL) ને બિહારના ભાગલપુરના પિરપેન્તીમાં નિર્માણ થનારા 2,400 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવર પ્રોજેક્ટમાંથી ૨૨૭૪ મેગાવોટ વીજ પૂરી પાડવા માટે ઇરાદા પત્ર (LoI) પ્રાપ્ત થયો હોવાનું કંપનીએ આજે જણાવ્યું છે.
અદાણી પાવર કસોકસ સ્પર્ધાત્મક ટેન્ડર પ્રક્રિયામાં સૌથી નીચી બોલી લગાવનાર હતી, જેમાં આખરી સપ્લાય ભાવ કિલોવોટ દીઠ રુ.૬.૦૭૫ હતો. કંપની દ્વારા ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન અને ઓપરેટ (ડીબીએફઓ) મોડેલના ધોરણે કરાર અંતર્ગત નિર્માણ થનારા 3×800 મેગાવોટ ક્ષમતાના ગ્રીનફિલ્ડ અલ્ટ્રા-સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટમાંથી વીજ સપ્લાય કરશે.પ્રથમ એકમ નિયુક્ત તારીખના 48 મહિનામાં અને છેલ્લું એકમ નિયત તારીખના 60 મહિનામાં કાર્યાન્વિત કરવામાં આવશે.
કંપનીના સી.ઇ.ઓ. શ્રી એસ.બી.ખ્યાલિઆએ જણાવ્યું હતું કે બિહારમાં 2,400 મેગાવોટ થર્મલ પાવર પ્રોજેક્ટ વિકસાવવા અને ચલાવવા માટે બિડ જીતવાની અમને ખુશી છે. અમે ૩ અબજ ડોલરના રોકાણ સાથે એક નવો ગ્રીનફિલ્ડ પ્રકલ્પ પ્રસ્થાપિત કરીશું, જે રાજ્યમાં ઔદ્યોગિકરણને વધુ સહાયરુપ થશે તેવી અપેક્ષા છે. અમારો પ્રકલ્પ એક અદ્યતન, નીચા ઉત્સર્જન અલ્ટ્રા-સુપરક્રિટિકલ હશે, અને રાજ્યને વિશ્વસનીય, સ્પર્ધાત્મક મૂલ્યવાળી અને ઉંચી ગુણવત્તાવાળી વીજ પૂરી પાડશે
ભારત સરકારની શક્તિ નીતિ હેઠળ ફાળવેલ કોલસાના જોડાણથી આ પ્રકલ્પને ઇંધણ પ્રાપ્ત થશે. આ પ્રકલ્પ બાંધકામના તબક્કા દરમિયાન ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ સીધી અને પરોક્ષ રોજગારી અને પ્રકલ્પ કાર્યરત થયા પછી ૩,૦૦૦ રોજગારીની તકો પેદા થવાની અપેક્ષા છે. યોગ્ય સમયે લેટર ઓફ એવોર્ડ પ્રાપ્ત થયા પછી બિહારની સ્ટેટ યુટિલિટિ કંપનીઓ સાથે પાવર સપ્લાય એગ્રીમેન્ટ (પીએસએ) કરવાની કંપનીને આશા છે.