નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરને કારણે સંબંધોમાં પહેલેથી જ કડવાશ જોવા મળી રહી છે. આ વચ્ચે અમેરિકાએ ભારત માટે એક વધુ મુશ્કેલી ઊભી કરી છે. અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી છે કે હવે નોન-ઇમિગ્રન્ટ વિઝા (NIV) માટે અરજી કરનારાઓએ પોતાના દેશ કે કાનૂની નિવાસ સ્થાને જ ઇન્ટરવ્યૂ માટે અપૉઇન્ટમેન્ટ લેવી પડશે. એટલે કે ભારતીય અરજદાર હવે અન્ય કોઈ દેશમાં જઈને ઝડપથી અપૉઇન્ટમેન્ટ મેળવી શકશે નહીં.
અમેરિકાના વિદેશ વિભાગે 6 સપ્ટેમ્બરે પોતાની સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યું કે “તત્કાલ અસરથી નોન-ઇમિગ્રન્ટ વિઝા ઇન્ટરવ્યૂ અપૉઇન્ટમેન્ટ માટેના માર્ગદર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.” નોન-ઇમિગ્રન્ટ વિઝા એ એક પ્રકારનો વિઝા છે, જે પ્રવાસ, વ્યવસાય, મેડિકલ ટ્રીટમેન્ટ, તાત્કાલિક કામકાજ અથવા અભ્યાસ જેવા હેતુઓ માટે આપવામાં આવે છે. આ વિઝા સ્થાયી વસવાટ માટે નથી અને તેની એક નિશ્ચિત સમયસીમા હોય છે.
અમેરિકાએ જણાવ્યું છે કે, વિઝા અરજદારોએ હવે પોતાના દેશ કે નિવાસસ્થાનના દેશમાં આવેલા અમેરિકી દૂતાવાસ અથવા કોન્સ્યુલેટમાંથી જ અપૉઇન્ટમેન્ટ લેવી પડશે. જેથી અમેરિકી સરકાર નિયમિત નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા ચલાવતી નથી, તે દેશોના નાગરિકોને નિર્ધારિત દૂતાવાસમાં અરજી કરવી પડશે. આ નવા નિયમનો સીધો અર્થ એ છે કે ભારતીય નાગરિકો હવે B1 (વ્યવસાયિક) અથવા B2 (ટૂરિસ્ટ) વિઝા માટે ઝડપથી અન્ય દેશમાં જઈને અપૉઇન્ટમેન્ટ મેળવી શકશે નહીં. કોવિડ-19 મહામારી દરમિયાન ભારતમાં અપૉઇન્ટમેન્ટ માટે ત્રણ વર્ષ સુધીની લાંબી વેઇટિંગ હતી, જેના કારણે ઘણા ભારતીયો પડોશી દેશોમાં જઈને ઇન્ટરવ્યૂ અપૉઇન્ટમેન્ટ લઈ રહ્યા હતા.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) અનુસાર, અમેરિકાના વિદેશ વિભાગે નોન-ઇમિગ્રન્ટ વિઝા ઇન્ટરવ્યૂ છૂટ કાર્યક્રમમાં સુરક્ષા વધારવા બદલાવ કર્યા છે, જે 2 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે. નવી માર્ગદર્શિકા મુજબ, મોટા ભાગના અરજદારોને કન્સ્યુલર ઇન્ટરવ્યૂ ફરજીયાત થશે. ફક્ત 14 વર્ષથી ઓછા અને 79 વર્ષથી વધુ વયના અરજદારોને જ આમાંથી છૂટછાટ મળશે.


