થરાદ, 18 માર્ચ 2026: A mob vandalized Un village after the Chaudhary Samaj’s general meeting ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે એકબીજા સમાજના દીકરા-દીકરીઓના પ્રેમ લગ્ન મામલે વિવાદ સર્જાયો છે. અગાઉ પાટણના રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્નના વિવાદ સર્જાયો હતો. અને સમાજના આગેવાનોની સમજાવટ બાદ કિંજલને પરત લાવવામાં આવી હતી. ત્યારે અગાઉ ચૌધરી સમાજની દીકરીએ રબારી સમાજના યુવક સાથે કરેલા પ્રેમ લગ્નમાં ચૌધરી સમાજની દીકરી પરત લાવવા અંગે ભાભરના રુણી ગામે આજે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયુ હતું. જેમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આ સંમેલન બાદ ટોળાંએ ઉન ગામમાં તોડફોડ કરી હતી, ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
ભાભરના રૂણી ગામે ચૌધરી સમાજના સંમેલન બાદ સમાજના લોકો દીકરીને પાછી લેવા માટે ઓગડના ઉણ ગામ પહોંચ્યા હતા. જ્યા જોરદાર બબાલ થઈ હતી. ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમજ અંદાજે 3 કિમી સુધીનો હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો. જેના કેટલાય વીડિયો વાયરલ થયા છે. ઉશ્કેરાયેલા ટોળાએ અનેક ગાડીઓમાં તોડફોડ કરી હતી. તેમજ વાહનોના કાચ તોડી નાખ્યા હતા. જેના કારણે વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. ડી.વાય.એસ.પી. અને પી.આઈ. સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને ટોળાને વિખેરવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. મામલો શાંત પાડવા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
PI કે બી દેસાઈએ જણાવ્યું કે, પ્રેમ લગ્ન મામલે ભાભરમાં મીટિંગ કરાઈ હતી. ત્યાં વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લામાંથી ચૌધરી સમાજના લોકો ભેગા થયા હતા. જે બાદ ત્યાંથી 60થી 70 ટકા લોકો વિખેરાઈ ગયા હતા. જે બાદ 30 ટકા લોકો કે જેઓ કોઈ આગેવાન નથી, એ લોકો સીધા ગાડી લઈને ઉણ ગામ આવી પહોંચ્યા હતા. ઉણ ગામમાં છોકરો કે છોકરી કોઈ રહેતું નથી, કોઈ વાલી વારસ રહેતા નથી. માત્ર તેની અંપગ માતા રહે છે. આ વચ્ચે ટોળું આવી પહોંચ્યુ હતું અને ભારે તોડફોડ કરી હતી,
ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો વિવાદ સામે આવ્યો હતો. કંકુ ચૌધરીએ દોઢ-બે વર્ષ રહેલાં ઉણ ગામના મહાદેવ રબારી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેમને સંતાનમાં એક બાળક પણ છે. જોકે, હવે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવા માંગે છે. જેને લઇને આજે મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા હતા


