
- ભારતીય દૂતાવાસે ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી
- સ્પ્રે પેઈન્ટથી અપમાનજનક શબ્દો લખવામાં આવ્યા હતાં
નવી દિલ્હીઃ અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. New York ના મેલવિલે વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું છે. New York માં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ મામલો યુએસ પ્રશાસન સાથે ઉઠાવ્યો છે. ભારતીય દૂતાવાસે આ હુમલાની નિંદા કરી છે અને તેને અસ્વીકાર્ય ગણાવ્યું છે. ભારતીય દૂતાવાસે આ ગુનામાં સંડોવાયેલા ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટો અને વીડિયો મુજબ, મંદિર નજીકના રસ્તા પર સ્પ્રે પેઈન્ટથી અપમાનજનક શબ્દો લખવામાં આવ્યા હતાં. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ મામલે કહ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ આ ઘટનાની તપાસ કરવી જોઈએ. New York માં ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ સમગ્ર મામલાને લઈને સોમવારે X પર પોસ્ટ કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે New York ના મેલવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિર પાસે સાઈન બોર્ડને તોડી પાડવાની ઘટના અસ્વીકાર્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેલવિલે સફોક કાઉન્ટી, લોંગ આઈલેન્ડમાં સ્થિત છે અને નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી લગભગ 28 કિલોમીટર દૂર છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે એક સમુદાય કાર્યક્રમને સંબોધિત કરવાના છે.