ભૂજ,13 ફેબ્રુઆરી 2026: કચ્છ જિલ્લામાં ધોરડો અને ધોળાવીરાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાયા બાદ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. અને પ્રવાસન થકી અનેક લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. ત્યારે હવે ભૂજિયો ડુંગર અને કાળા ડુંગરનો પણ પ્રવાસન તરીકે વિકાસ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
કચ્છ જિલ્લો ઔદ્યોગિક હરણફાળની સાથે પ્રવાસન નકશા પર વિશ્વ સ્તરે ચમકી રહ્યો છે. સફેદ રણ, ધોળાવીરા, રોડ ટુ હેવનનો નજારો માણવા દર વર્ષે લાખો સહેલાણીઓ ઉમટી રહ્યા છે, ત્યારે હવે કચ્છના અન્ય ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળોને સુવિધાથી સજ્જ કરવા માટે તજવીજ હાથ ધરાઈ છે. ખાસ કરીને કચ્છના ગૌરવ સમાન કાળો ડુંગર અને ભુજિયા ડુંગરના સર્વાંગી વિકાસ માટે ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા સરકારમાં રજૂઆત કરાતા હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે.
કચ્છ આવતા પ્રવાસીઓ ધોરડો, ધોળાવીરાની સાથે કાળા ડુંગરની મુલાકાત લે છે.આ સ્થળે પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખીને મંદિર સુધી જવાનો પહોળો રસ્તો, પાર્કિંગ, પાણીનો ટાંકો અને યાત્રાળુઓ માટે રહેવાની ઉત્તમ સવલતો ઊભી કરવામાં આવે તેમજ ભુજની શાન સમાન ભુજિયા ડુંગર પર મંદિર સુધીના પગથિયાંનું રીનોવેશન, લાઈટ-પાણીની સુવિધા અને પ્રવાસીઓને બેસવા માટેની વ્યવસ્થા ઉભી કરી ડુંગરની તળેટીનો વિકાસ કરવા રજૂઆત કરાતા પ્રવાસન વિભાગ દ્વારા સ્થળ સમીક્ષા પણ કરાઈ છે.
આ બાબતે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે, તાજેતરમાં સ્મૃતિવન ખાતે મુખ્યમંત્રી આવ્યા ત્યારે રૂબરૂમાં રજૂઆત કરી છે અને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે તેમજ કાળો ડુંગર ખાતે પ્રવાસન સુવિધા વિકસાવવા સ્થાનિક તંત્ર સાથે મિટિંગ પણ યોજવામાં આવી હતી.આ બંને સ્થળનો વિકાસ થવાથી પ્રવાસીઓને વધુ સુવિધા પ્રાપ્ત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના સરહદી વિસ્તારોમાં પણ પ્રવાસનનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. ઐતિહાસિક લખપત કિલ્લાના સંરક્ષણ અને પ્રવાસન વિકાસ માટે 20 કરોડ મંજુર કરાયા છે જ્યાં પાર્લામેન્ટ હાઉસ સહિતના કામ શરૂ કરી દેવાયા છે.


