
બિહારઃ પૂર્ણિયામાં વંદે ભારત ટ્રેનની ટક્કરે ત્રણના મોત, બે ગંભીર ઘાયલ
પટનાઃ બિહારના પૂર્ણિયા જિલ્લામાં શુક્રવાર વહેલી સવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. જોગબની-દાનાપુર વંદે ભારત એક્સપ્રેસની અડફેટે આવતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક પૂર્ણિયાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના કટિહાર-જોગબની રેલખંડના કસબા જબનપુર નજીક બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, દશેરાનો મેળો જોઈને પરત ફરતા લોકો રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા ત્યારે ઝડપથી આવી રહેલી વંદે ભારત ટ્રેનની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિક પોલીસ તથા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમે તરત જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે જોગબની-દાનાપુર વંદે ભારત એક્સપ્રેસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી હતી અને તેનું નિયમિત સંચાલન 17 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. આ ટ્રેન સીમાચલ વિસ્તારને રાજધાની પટનાથી જોડતી પ્રથમ વંદે ભારત છે. આ ટ્રેન જોગબનીથી વહેલી સવારે 3.25 વાગ્યે રવાના થાય છે અને 4.50 વાગ્યે પૂર્ણિયા પહોંચે છે. સહરસા, ખગડિયા, સમસ્તીપુર અને મુઝફ્ફરપુર થઈને સવારે 11.30 વાગ્યે દાનાપુર પહોંચે છે. જોગબની-દાનાપુર વંદે ભારત એક્સપ્રેસની અડફેટે મોત થવાની આ બીજી ઘટના છે. આ પહેલાં 30 સપ્ટેમ્બરના રોજ સહરસાના હટિયાગાછી રેલવે ફાટક પાસે આ જ ટ્રેનની ટક્કરે એક વૃદ્ધનું મોત થયું હતું.