1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં હીરાના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં દલાલની ધરપકડ
સુરતમાં હીરાના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં દલાલની ધરપકડ

સુરતમાં હીરાના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં દલાલની ધરપકડ

0
Social Share
  • સુરતના 14 હીરાના વેપારીઓ પાસે 6.21 કરોડના હીરા લઈને દલાલ નાસી ગયો હતો
  • શહેર પોલીસના ઈકો સેલ દ્વારા છેતરપિંડી કરનારા દલાલને ઝડપી લેવાયો
  • આરોપીઓએ હીરા સસ્તામાં વેચીને મોજશોખમાં રૂપિયા વાપરી નાંખ્યા હતા

સુરતઃ હીરા બજારમાં વ્યાપક મંદી સાથે છેતરપિંડીના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે શહેરના 14 જેટલા હીરાના વેપારીઓ પાસે હીરા લઈને દલાલ ફરાર થઈ ગયો હતો. કરોડો રૂપિયાની છેતરપિંડીના આ કેસમાં હીરા દલાલને પકડી લેવા વેપારીઓએ શહેર પોલીસ કમિશનરને રજુઆત કરી હતી. દરમિયાન પોલીસના ઈકોસેલ હીરા દલાલ આરોપી રવી વઘાસિયાને ઝડપી લીધો છે.

આ કેસની વિગતો એવી હતી કે,  સુરત શહેરના હીરા બજાર ક્ષેત્રે લાખો કરોડોની લેવડદેવડ વચ્ચે અનેક વેપારીઓ વિશ્વાસના ધોરણે હીરાનો માલ વિવિધ દલાલોને દેખાડવા માટે આપતા હોય છે. આવા એક દલાલે સુરતના 14 જેટલાના હીરા વેપારીઓ પાસેથી રવિકુમાર ઉર્ફે રવી ચોગઠ ગણેશભાઈ વઘાસિયા કુલ રૂ. 6,21,57,943ના હીરા લઈ નાસી જતાં શહેરમાં ચકચાર મચી હતી. આ ગુનાનો મુખ્ય આરોપી અગાઉ સુરતના હીરા બજારમાં દલાલ તરીકે વ્યવસાય કરતો હતો. તેની ધરપકડ ઇકો સેલ દ્વારા કરવામાં આવી છે. આરોપી રવી વઘાસિયાએ સુરત શહેર તેમજ દિલ્લી ખાતેના સ્થાનિક વેપારીઓને હીરા દેખાડી સોદો કરાવવા નાટક રચ્યું હતું. તેણે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી 14 જેટલા હીરાના વેપારીઓ પાસેથી કરોડોનો હીરાનો માલ વિશ્વાસના આધારે મેળવી લીધો હતો. આ હીરાનો માલ તેણે ન તો પાછો આપ્યો અને ન જ કોઈ સોદો કર્યો. અને મળેલા હીરા બજારમાં છૂટક તથા સસ્તા ભાવે રોકડમાં વેચી નાંખ્યા અને તેમાંથી મેળવેલા રૂપિયા પોતાની અંગત જરૂરિયાતો માટે ખર્ચી નાખ્યા હતા. ગુનાને છુપાવવા માટે તેણે પોતાનો મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો હતો અને અચાનક લાપતા થઈ ગયો હતો. હીરાના વેપારીઓએ આ અંગે સુરત શહેરના પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરતાં તાત્કાલિક પગલા લેવાયા હતા.

ફરિયાદી તરીકે આકાશ અશોકભાઈ સંઘવી દ્વારા આરોપી રવી વઘાસિયા તથા દિલ્લી ખાતેના એક અજ્ઞાત વેપારી “જોનીભાઈ” વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશન, વિશ્વાસઘાત અને સંપત્તિ સંબંધિત ગુનો, અપરાધમાં સહભાગી થવાની કલમ, કાવતરું અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઈકો સેલ, ક્રાઇમ બ્રાંચ, સુરત શહેરના અધિકારીઓ દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી રવિકુમાર ઉર્ફે રવી ચોગઠ ગણેશભાઈ વઘાસીયા (ઉ.વ. 36), રહેવાસી – ઘર નં. બી/56, રાજાનંદ સોસાયટી, લક્ષ્મીકાંત આશ્રમ રોડ, રાશી સર્કલ, કતારગામ, સુરત — મુળ ગામ ચોગઠ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગરને ઝડપી લેવામાં આવ્યો છે. હાલમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code