1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીએ 696,25 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીએ 696,25 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીએ 696,25 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ

0
Social Share
  • સુરેન્દ્રનગરના 59 ગામોને પીવાના પાણી માટે રૂ.108.04 કરોડના બે કામોનું લોકાર્પણ,
  • ચાર તાલુકાનાં 90 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાની યોજનાનું ખાતમુહૂર્ત
  • સૌની યોજના ગુજરાતમાં જળ વ્યવસ્થાપન માટે ગેમચેન્જર સાબિત થઈ

સુરેન્દ્રનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા રૂ. 664 કરોડનાં વિકાસકામો તથા અન્ય વિભાગોના મળીને કુલ રૂ. 696.25 કરોડના 12 વિકાસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આનંદ ભુવન, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, એક સમયે સુરેન્દ્રનગર–ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર પંથક પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. વડાપ્રધાન  નરેન્દ્રભાઈએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કરીને સૌની યોજના, સુજલામ–સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે.

ગામેગામ પાણી પહોંચાડવાની વડાપ્રધાનની નેમને ગુજરાત સરકાર સતત આગળ વધારી રહી હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે, આજે કુલ રૂ. 696 કરોડના વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્તમાંથી રૂ.664 કરોડના કામો તો સુરેન્દ્રનગર જિલ્લામાં એકલા પાણી અને સિંચાઈના પાણીની સુવિધા માટેનાં છે.

વડાપ્રધાનએ જનશક્તિને જલશક્તિ સાથે જોડીને ગુજરાતમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરી હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મા નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતાં ઝાલાવાડની માતાઓ-બહેનોનું જીવન વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે. વડાપ્રધાનશ્રીએ સૌની યોજના થકી મા નર્મદાના નીરને સૌરાષ્ટ્ર તરફ વાળીને ખેડુતોની જીંદગી બદલી છે.

તેમણે કહ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઢાંકીમાં નિર્મિત 24 માળ જેટલી ઊંચાઈએ પાણી પમ્પ થાય તેવું એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નિર્ધારનું પરિણામ છે.  નરેન્દ્રભાઈએ મક્કમતાથી સમગ્ર ગુજરાતનો વિચાર કરીને, પાણી-વીજળી ક્ષેત્રે મજબૂત આયોજનો કર્યાં છે. તેનાં મીઠાં ફળ આપણને મળી રહ્યાં છે. આજે ગુજરાતના ગામેગામે થ્રી — ફેઝ વીજળી પહોંચી છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશિતાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સૌની યોજના વડાપ્રધાનના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે. એક તરફ નર્મદાનું લાખો લીટર પાણી દરિયામાં વહી જતું હતું. બીજી બાજું આખું સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત પાણી માટે વલખા મારતું હતું. ત્યારે  નરેન્દ્રભાઈએ સૌરાષ્ટ્ર-કચ્છના ગામે ગામ સુધી પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો અને નર્મદાના વધારાના પાણી પૈકી એક મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરીને સિંચાઈ વ્યવસ્થા વધુ મજબુત કરવા અને પીવાનું પાણી પહોંચાડવાનું નક્કર આયોજન પાર પાડ્યું છે.

સૌની યોજનાની સફળતાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ પાણીથી સૌરાષ્ટ્રનું જીવન બદલાયું છે. સૌની યોજના ગુજરાતમાં જળ વ્યવસ્થાપન માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં સૌની યોજના ઉપકારક બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી આ વિસ્તારો માટે આવેલું પાણી એ પારસમણી અને સમગ્ર ઝાલાવાડ માટે વિકાસની તેજ રફતારનું કારણ બન્યું છે.

ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશની સૈન્ય શક્તિને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂરથી દેશભરમાં રાષ્ટ્રહિત સર્વોપરિની ભાવના સશક્ત થઈ છે અને ઓપરેશન સિંદૂર 140 કરોડ ભારત વાસીઓનો મિજાજ બની ગયું છે.

આ અવસરે રાજ્યના જળસંપત્તિ, પાણી પૂરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, આજનો દિવસ ઐતિહાસિક છે. અગાઉ ધોળીધજા ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા હતા એ દિવસ ઐતિહાસિક હતો. આજે સુરેન્દ્રનગર જિલ્લાના પાણીવિહોણા 100 જેટલા ગામોમાં પાણી પહોંચાડવાની યોજનાનું ભૂમિપૂજન થયું છે. જેનાથી આ ગામોને સિંચાઈ માટે પાણી મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code