
ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ દિવસ યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં આનંદ અને ઉત્સાહ સાથે બાળકોનું નામાંકન કરાયું
ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં 26મી જૂનથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગઇકાલે સંપન્ન થયો હતો. અંતર્ગત ગઇકાલે રાજ્યની વિવિધ શાળાઓમાં બાળકોને ઉલ્લાસભેર પ્રવેશ અપાયો.
ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામે આવેલ ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે ધોરણ 9 તથા 11 ના બાળકોને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યુ હતું કે શિક્ષણ એ કોઈ એક વિભાગ કે માત્ર શિક્ષકોની નહીં પણ સમગ્ર સમાજની જવાબદારી છે. એટલે જ પ્રવેશોત્સવને સમાજોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે સાયન્સ વિષયમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ સારી કારકિર્દી પસંદ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. એમ.આઈ.જોશીએ દસ્ક્રોઈ તાલુકાની શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો તો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને માહિતી નિયામક કે. એલ.બચાણીની ઉપસ્થિતિમાં ખેરાલુના મહાદેવપુરા, મલેકપુર અને બળાદ ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.માત્ર નોકરી માટે જ નહીં પરંતુ શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે દીકરીને ભણાવવા પર ભાર મૂકતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિક સચિવ વર્ષા હેરમા એ દેડિયાપાડાની નિવાલ્દા પ્રાથમિક શાળાના ૧૨૦ બાળકોના નામાંકન સાથે શાળા પ્રવેશ કરાવ્યો હતો.
ફૂલઝર ખાતે નવનિર્મિત માધ્યમિક શાળાના લોકાર્પણ સહ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે અંદાજે ૩.૫ કરોડના ખર્ચે લેબોરેટરી, લાઇબ્રેરી, આધુનિક ક્લાસરૂમ, વોકેશનલ ટ્રેનિંગ સહિતની સુવિધાસભર નવનિર્મિત માધ્યમિક શાળાનું લોકાર્પણ કરાયું.રાજકોટના ગોંડલ તાલુકાના લુણીવાવ, વેજાગામ અને અનિડા ભાલોડી ગામની પ્રાથમિક શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧ અને ધોરણ-૯ માં કુલ મળીને ૧૨૭ જેટલા વિદ્યાર્થીઓનો આનંદભેર શાળાપ્રવેશ કરાવાયો હતો.તાપી જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવ માં ત્રણ વર્ષના એક હજાર ૪૮૭ ભૂલકાઓનું કંકુ પગલાં અને ફૂલોની વર્ષા સાથે આંગણવાડીમાં સ્વાગત કરાયું હતું.