
ગાંધીનગરઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે. તારીખ 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. જેથી આજે કચ્છ, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના પાલિતાણામાં 12.5, શિહોરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના જાનમાલની સુરક્ષા અંગે પગલા લેવા જિલ્લા કલેક્ટર્સને સૂચના આપી છે.
ભાવનગરમાં મુશળાધાર વરસાદ ખાબક્યો છે. જેસરમાં 10 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોનો પાણીમાં ગરકાવ થયો છે. તલગાજરડામાંથી 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિના કારણે ભાવનગર ડિવિઝનની ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના ગઢડા તેમજ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ગઢડાની ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુરુવાર સુધી કર્ણાટક, કોંકણ અને ગોવામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. કેરળ, તમિલનાડુ, પુંડુંચેરી, કરઈકલ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ અને ઈશાન રાજ્યોના ઘણા ભાગોમાં આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આજે ભારે પવન સાથે આંધી-તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, દિલ્હી-NCRમાં તારીખ 20 જૂન સુધી તોફાન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.