સુરેન્દ્રનગર, 10 ફેબ્રુઆરી 2026: શહેર અને જિલ્લામાં ભાજપ દ્વારા ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામ રદ કરવા માટે બારોબાર ફોર્મ-7 ભરી દેવાતા કોંગ્રેસે ભારે વિરોધ કર્યો છે. શહેરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામ રદ કરવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા, રેલી અને ધરણા યોજી રજૂઆત કરી હતી. આ વિરોધ ચૂંટણી પંચના એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાયેલા ખાસ સુધારણા કાર્યક્રમ સામે હતો.
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા એસઆઈઆર કાર્યક્રમ હેઠળ અમુક ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામ મતદાર યાદીમાંથી ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે ન્યાયની માંગ સાથે કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી ત્રણ દિવસમાં આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો 13 ફેબ્રુઆરીના રોજ સમગ્ર જિલ્લામાં રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવામાં આવશે.
આ મામલે જિલ્લા કોંગ્રેસે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે સભા યોજી જિલ્લા કલેક્ટર સુધી પદયાત્રા અને રેલી યોજી જિલ્લા ક્લેક્ટર તેમજ એસ.પી. કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી, કે મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ ભરનારા તમામ વ્યક્તિઓ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે, ફોર્મ ક્યાં પ્રિન્ટ કરવામાં આવ્યા, સોફટવેરની તપાસ, ફોર્મ નંબર ૦7 કોણ જમા કરાવી ગયું?, ફોર્મ ભરેલા મતદારોના નામ રદ કરવાને બદલે યથાવત રાખવામાં આવે તેવી માંગ સાથે ધરણા યોજી ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમજ આ મામલે સરકાર દ્વારા આગામી ૦૩ દિવસમાં યોગ્ય ઉકેલ નહી આવે તો 13 ફેબુ્રઆરીના રોજ રસ્તા રોકો, ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ રેલી અને ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા તથા વિક્રમ રબારી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા


