1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં મ્યુનિના સ્વિમિંગ પુલની દીવાલ પરથી ગાંધીજીનું ચિત્ર દૂર કરતા વિવાદ સર્જાયો
સુરતમાં મ્યુનિના સ્વિમિંગ પુલની દીવાલ પરથી ગાંધીજીનું ચિત્ર દૂર કરતા વિવાદ સર્જાયો

સુરતમાં મ્યુનિના સ્વિમિંગ પુલની દીવાલ પરથી ગાંધીજીનું ચિત્ર દૂર કરતા વિવાદ સર્જાયો

0
Social Share

સુરત, 8 એપ્રિલ 2026: Controversy over removal of Gandhiji’s portrait from swimming pool wall શહેરમાં મક્કાઈપુલ ખાતે પાલિકાના સ્વિમિંગ પુલની દિવાલ પરથી મહાત્મા ગાંધીજીનું ચિત્ર ગાયબ કરી દેવાતા વિવાદ સર્જાયો છે. સ્વિમિંગ પુલની દીવાલ પરથી ગાંધીજીના ચિત્ર હટાવીને સ્વિમિંગ પુલનું ચિત્ર બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરના ગાંધીવાદીઓમાં વિરોધ જાગ્યો છે.

 સુરત મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી ટાણે જ ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં સરદાર સાહેબની પ્રતિમા ધૂળ ખાતી હાલતમાં હોવાથી વિવાદ જાગ્યો છે, ત્યાં જ  શહેરના મક્કાઈપુલ ખાતે મ્યુનિના સ્વિમિંગ પુલની દીવાલ પરથી મહાત્મા ગાંધીજીનું ચિત્ર હટાવી લેવામાં આવ્યુ છે. આગામી દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણ ટીમ સુરત શહેરની મુલાકાતે આવી રહી છે, ત્યારે  સ્વચ્છતાના હિમાયતી એવા ગાંધીજીનું ચિત્ર ગાયબ કરવામાં આવ્યું છે અને તેની જગ્યાએ સ્વિમિંગ પુલનું ચિત્ર બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગાંધીજીનું પેઈન્ટિંગ હટાવી દેવાતા હવે બીજો વિવાદ ઊભો થયો છે.

સુરત મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી ટાણે જ મહાનુભવોના નામ સાથે કેટલાક વિવાદ જોડાઈ રહ્યાં છે. ગઈકાલે મંગળવારે ઉધના ખાતેના ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં સરદાર પટેલની પ્રતિમા ધૂળ ખાતી જોવા મળી હતી. આ અંગેના અહેવાલ બાદ ભાજપ કાર્યાલય પાર્કિંગમાંથી સરદાર સાહેબની પ્રતિમા હટાવી અન્ય જગ્યાએ મૂકવામાં આવી હતી. જો કે, આ વિવાદ હજુ સમે તે પહેલા શહેરના મક્કાઈપુલ ખાતે સુરત પાલિકાના સ્વિમિંગ પુલ બહાર સ્વસ્થતા સર્વેક્ષણ અને આઝાદી કા અમૃત મહોત્સવના પેઈન્ટિંગ દીવાલને લઈને નવો વિવાદ સર્જાયો છે.

સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણ માટે કેન્દ્ર સરકારની ટીમ થોડા દિવસોમાં આવી રહી છે. જો કે, આ ટીમ સુરતની મુલાકાત લે તે પહેલાં મ્યુનિના સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીના ચિત્રોને દૂર કરી હવે, આ જગ્યાએ સ્વિમિંગ પુલના ચિત્રો બનાવવા માટે કવાયત શરુ થઈ ગઈ છે.  જેના કારણે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે, ‘ગાંધીજીના પેઈન્ટિંગ દૂર કરવા માટે આ સમય યોગ્ય નથી. આ સમયે જ કેમ ચિત્રો હટાવવામાં આવી રહ્યાં છે, તે અંગે લોકોમાં અનેક અટકળો થઈ રહી છે. સુરત શહેરમાં મહાનુભવોના નામે રાજકીય લાભ લેવાય છે, પરંતુ તેમની પ્રતિમા અને ચિત્રો પ્રત્યે આ પ્રકારની બેદરકારી વારંવાર સામે આવતા હવે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારી વચ્ચે ઉદ્ભવેલા આ વિવાદે પાલિકાની કામગીરી અને પ્રાથમિકતાઓ પર પણ સવાલ ઉભા કર્યા છે.’

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code