
- સૌથી નાના તાલુકો જાંબુઘોડામાં 4 વર્ષમાં મનરેગામાં 300 કરોડનું ચુકવણું
- કેન્દ્ર સરકાર દ્વારા તટસ્થ તપાસની કોંગ્રેસની માગણી
- જાંબુઘોડામાં 200 કરોડથી વધુનું મટીરીયલ સપ્લાય કરનારી એજન્સીઓની તપાસ કરાવો
ગાંધીનગરઃ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આજે જણાવ્યું હતું કે, જે રીતે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો એના પુરાવા અને કૌભાંડો બહાર આવી રહ્યા છે. દાહોદમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના બે-બે પુત્રો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે, 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર તો દેવગઢ બારિયા અને ધાનપુરના થોડા જ ગામોમાં થયો છે. દાહોદ જિલ્લાની તપાસ થાય તો 1000 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાવાનો છે. પણ સરકાર હજી મંત્રી એમના પરિવાર અને નજીકના લોકોને બચાવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લાનો પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે. પંચમહાલના જાંબુઘોડા તાલુકો જ્યાં આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે. જાંબુઘોડા તાલુકાની 26 ગ્રામ પંચાયતો છે. ફક્ત 42000 વસ્તી આખા તાલુકાની છે. પંચમહાલ જિલ્લામાં 39 જિલ્લા પંચાયતની બેઠકો છે એમાં આખો જાંબુઘોડા તાલુકામાં 26 ગામ અને 42000ની વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયતની બેઠક છે. આ તાલુકામાં મનરેગા યોજનામાં જે કામો થયા એમાં લેબર અને મટીરીયલ પાર્ટ મનરેગા કાયદાની જોગવાઈ મુજબ મજુરોને રોજગાર આપવાનો કાયદો છે. એટલે 60% રકમ ખર્ચ થવી જોઈએ, લેબર પાર્ટમાં મજુરી કામ માટે વેતન માટે અને 40% રકમ ચૂકવવી જોઈએ
તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચારનું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો. કારણ કે ભાજપના પંચમહાલ જિલ્લાના પ્રમુખ આ તાલુકામાંથી આવે છે. એમના આશીર્વાદથી બધું થયું હોવાની લોકો રજૂઆત અને ફરિયાદો છે. મને પણ ભાજપના કેટલા લોકો રજુઆતો અને પુરાવાઓ આપી ગયા છે. એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ જાંબુઘોડા તાલુકો છે. અને એ લોકો એટલા માટે એમ કહે છે કે આખા જિલ્લામાં ચાર વર્ષમાં મનરેગા યોજનામાં જે મટીરીયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થઇ છે. આ કૌભાંડની કેન્દ્ર સરકાર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસની માગ છે, આખા જિલ્લામાં મનરેગા યોજનામાં જે મટીરીયલ પાછળ ખર્ચ થાય છે એમાં 50% જેટલો ખર્ચ એક જ તાલુકામાં થાય છે અને બાકીના 6 તાલુકામાં 50% ખર્ચ થાય છે. આખો હિસાબ કરીએ તો આખા જીલ્લામાં 512 કરોડ રૂપિયા ચાર વર્ષમાં મટીરીયલ પાછળ ખર્ચ થયો અને એમાંથી એકલા જાંબુઘોડા તાલુકામાં 216 કરોડ રૂપિયા મટીરીયલમાં ખર્ચ થયો. એનો સ્પષ્ટ મતલબ છે કે આ તાલુકામાં રોજગાર આપવાની ચિંતા નથી પણ મટીરીયલ સપ્લાય કરીને કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે.