
ફાર્મસીમાં ડિગ્રી-ડિપ્લામાં પ્રવેશ લેવારા વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલની માર્ગદર્શિકા
- ધો.12ની પરીક્ષા ફિઝિક્સ,કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા મેથ્સ સાથે ઉતિર્ણ હોવી જોઈએ,
- વિદ્યાર્થીઓએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ,
- ફાર્મસીનો અભ્યાસક્રમને કાઉન્સિલની માન્યતા હોવી જોઈએ
અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 12ના પરિણામ બાદ કોલેજો અને યુનિવર્સિટીઓમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. ત્યારે રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ડિપ્લોમા-ડિગ્રી ફાર્મસી કોર્ષમાં એડમિશન લેતા વિધાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં ડિપ્લામા ફાર્મસીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા મેથેમેટિક્સના વિષયો સાથે પાસ કરેલી હોવી જોઈએ.
રાજ્યના ડિપ્લોમા-ડિગ્રી ફાર્મસી કોર્ષમાં એડમિશન લેતા વિધાર્થીઓની છેતરાય નહીં તેમજ તેમનું શોષણ અટકાવવાના હેતુસર ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા કેટલાક સૂચનો-માર્ગદર્શિકા જાહેર કરાયા છે. ગુજરાત ફાર્મસી કાઉન્સિલ અધિનિયમ, 1948ની જોગવાઈ મુજબ ડિપ્લોમા ઇન ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ-12 સાયન્સની પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા મેથેમેટિક્સના વિષયો સાથે પાસ કરેલી હોવી જોઈએ. ફાર્મસી કાઉન્સિલે મંજૂર કરેલી બેઠકો કરતાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો પણ અમાન્ય ગણાશે.
રાજ્યમાં ફાર્મસી કોલેજોમાં ડિગ્રી-ડિપ્લોમા પ્રવેશ માટે ફાર્મસી કાઉન્સિલ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ-12 પાસ કરેલ હોય તેને જ ફાર્મસી કોલેજમાં પ્રવેશ મળી શકશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ અમાન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ કરી ફાર્મસીમાં એડમિશન મેળવેલ હશે તો તેવા વિદ્યાર્થીઓ ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા રજિસ્ટ્રેશનને પાત્ર ગણાશે નહી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ફાર્મસી વિદ્યાશાખામાં ડિપ્લોમા અથવા ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ સ્પર્ધા થાય છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓએ ફાર્મસી વિદ્યાશાખાના ડિપ્લોમા અથવા ડિગ્રી અભ્યાસક્રમમાં ગુજરાત અથવા ગુજરાત બહાર કોઇપણ કોલેજમાં પ્રવેશ લેતાં પહેલાં, આવી ફાર્મસી કોલેજને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માન્યતા આપેલ છે કે કેમ તેની ચકાસણી કરી લેવા જણાવાયું છે. ફાર્મસી કાઉન્સિલે મંજૂર કરેલી બેઠકો કરતાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો પણ અમાન્ય ગણાય છે. ફાર્મસી કાઉન્સિલ દ્વારા માન્યતા આપવામાં આવેલી ન હોય તેવી કોલેજમાં અભ્યાસ કરનારા અથવા તો મંજૂર કરેલી બેઠકો કરતાં, વધારે બેઠકો ઉપર પ્રવેશ મેળવનાર અથવા સંબંધિત કૉલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા જે ઓથોરીટી લેતી હોય તેને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માન્યતા નહીં આપેલ હોય તેમજ ધોરણ-12 અમાન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે નહી. ઉપરોક્ત સંજોગોમાં ડિપ્લોમા અથવા ડિગ્રી મેળવનાર વ્યક્તિઓને ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન કાયદાનુસાર મળવાપાત્ર નથી.ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્ય કોલેજોની યાદી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ www.pci.nic.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેની વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ નોંધ લેવા ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની અખબારી યાદીમાં જણાવ્યું છે.