અમદાવાદ, 26 માર્ચ 2026: The Holy Pilgrimage Development Board has not given an account ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડને સરકાર દ્વારા વિકાસના કામો માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પણ બોર્ડના સત્તાધિશો દ્વારા ખર્ચ કરેલા રૂપિયાનો હિસાબ આપવામાં આવતો નથી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગે કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના તાજેતરના રિપોર્ટમાં ગંભીર ખામીઓને ઉજાગર કરવામાં આવી છે.
ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 2006-07 થી 2024-25 સુધીના કુલ 19 વર્ષના વહીવટી અને આર્થિક રિપોર્ટ્સ વિધાનસભામાં રજૂ કર્યા જ નથી. 31 જુલાઈ, 2025 સુધીની તપાસ મુજબ આ 19 રિપોર્ટ્સ હજુ પણ બાકી રજુ કરવાના છે. બોર્ડે ઘણા વર્ષોથી પોતાના મહત્વપૂર્ણ આર્થિક રિપોર્ટ્સ જાહેર નથી કર્યા, જે ગંભીર ખામી છે અને ઘણા સવાલો પણ ઊભા કરે છે. 1995માં બનાવાયેલા આ બોર્ડને ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કામ કરવાની જવાબદારી આપવામાં આવી છે. કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પણ પ્રજાના ટેક્સના રૂપિયા ક્યાં વપરાયા તેનો હિસાબ પણ આપવામાં આવતો નથી.
ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી, પાવાગઢ, ડાકોર, પાલીતાણા, ગિરનાર, સોમનાથ, દ્વારકા જેવા મુખ્ય યાત્રાધામોના વિકાસ માટે જવાબદારી છે. બોર્ડ યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે, જેમ કે, રસ્તા, જેટી, બોટિંગ, આવાસ, ભોજન, પાણી, લાઇટિંગ, પરિક્રમા વ્યવસ્થા અને અન્ય યોજનાઓ (જેમ કે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા) સંચાલિત કરે છે. આ કામો કરવા માટે બોર્ડને સરકાર તરફથી મોટું જાહેર ભંડોળ મળે છે. બોર્ડ મુખ્ય યાત્રાધામોને વધુ સુવિધાજનક બનાવવા અને યાત્રાળુઓને સુવિધાઓ પૂરી પાડવા જવાબદાર છે. CAGની સ્ટેટ ફાઇનાન્સિસ ઓડિટ રિપોર્ટ મુજબ, સરકારી બોર્ડ અને સ્વાયત્ત સંસ્થાઓ માટે વર્ષમાં એકવાર રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવો ફરજિયાત છે. પરંતુ આ નિયમનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સતત ઉલ્લંઘન થયું છે. CAGએ આને બોર્ડની ગંભીર નિષ્ફળતા ગણાવી છે. બીજી સંસ્થાઓ પણ રિપોર્ટ આપવામાં થોડો વિલંબ કરે છે, પરંતુ આ બોર્ડનો 19 વર્ષનો બેકલોગ અન્ય સંસ્થાઓની તુલનામાં અસાધારણ અને ગંભીર છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ઘણા વર્ષોથી પોતાનો આવક-જાવકનો રિપોર્ટ વિધાનસભામાં નથી આપતુ, જે એક ખૂબ ગંભીર ખામી છે.


