
- વરસાદી હવામાનને લીધે કપાસ અને મગફળીની આવક ઘટી,
- ગત સપ્તાહમાં 3000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી.
- હવે ખેડુતોએ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી
રાજકોટઃ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાંયુ બનતા વરસાદી માહોલ છવાયો છે સૌરાષ્ટ્રમાં ક્યાંક છૂટોછવાયો તો કયાંક એકધારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેની અસર રાજકોટના બેડી યાર્ડમાં ખરીફ પાકની આવક પર પડી છે. વરસાદી માહોલને કારણે યાર્ડમાં મગફળી- કપાસની આવક ઘટી છે. દિવાળી પર્વ નજીકમાં છે ત્યારે સ્થાનિક માર્કેટથી લઇને આંતરરાષ્ટ્રીય બજારમાં મગફળીની પણ માંગ વધી છે ત્યારે હવે ઘરઆંગણે ખાદ્યતેલના ભાવમા વધ-ઘટ આવે તેવી સંભાવના છે. યાર્ડમાં હાલમાં મગફળીનો ભાવ રૂ.1300ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે કપાસના ભાવે રૂ.1600ની સપાટી કુદાવી છે.
રાજકોટના બેડી યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ગત સપ્તાહના અંતમાં કપાસની આવક 3 હજાર ક્વિન્ટલ થઇ હતી. જેનો ભાવ રૂ.1360થી 1660 સુધી બોલાયો હતો. વેપારીઓના કહેવા મુજબ જો વાતાવરણ ચોખ્ખું થશે તો તહેવાર પૂર્વે આવક વધવાની સંભાવના છે. ખેતર-ગામડેથી લઈને ખેડૂતો જણસી લઇને આવે તો વરસાદમાં પલળી જવાનો ભય રહે તે માટે ખેડૂતોએ હાલમાં વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી છે. તેમજ વરસાદી માહોલને કારણે ખેડૂતોને પોતાની જણસી ઢાંકીને જ લાવવા માટે સૂચના આપવામાં આવી છે.આ સિવાય કાળા તલની આવક 110 ક્વિન્ટલ નોંધાઈ હતી. જેનો ભાવ અત્યારે 2800થી લઇને 3690 સુધી નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદને કારણે ખરીફ પાકનું ઉત્પાદન વિપુલ પ્રમાણ થશે, એવી આશા છે. હાલ તમામ માર્કેટ યાર્ડ્સમાં ખરીફ પાકની આવકના શ્રીગણેશ થઈ ગયા છે. કપાસ અને મગફળીના ભાવ એકંદરે સારા મળતા હોવાથી ખેડુતોને રાહત છે.