
નવી દિલ્હીઃ રાજ્યસભાની આઠ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આસામના બે રાજ્યસભા સભ્યો અને તમિલનાડુના છ સભ્યોનો કાર્યકાળ જૂન અને જુલાઈમાં પૂરો થઈ રહ્યો હોવાથી ચૂંટણીઓ યોજાઈ રહી છે. ચૂંટણી પંચે 19 જૂને બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરી હતી. મતગણતરી તે જ સાંજે થશે. દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું જાહેરનામું 2 જૂને બહાર પાડવામાં આવશે. આસામના બિરેન્દ્ર પ્રસાદ વૈશ્ય (ભાજપ) અને મિશન રંજન દાસ (ભાજપ)નો કાર્યકાળ 14 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત તમિલનાડુના છ સભ્યો – અંબુમણી રામદાસ (પીએમકે), એન. ચંદ્રશેખરન (એઆઈએડીએમકે), એમ. શનમુગમ (ડીએમકે), પી. વિલ્સન (ડીએમકે) અને વૈકો (એમડીએમકે)નો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યસભા ચૂંટણી સંબંધિત મહત્વપૂર્ણ તારીખો અનુસાર, 2 જૂન 2025ના રોજ સૂચના જારી કરવામાં આવશે. 9 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે, 12મી જૂન સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 19મી જૂનના રોજ મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે પાંચ કલાકે મતગણતરી હાથ ધરવામાં આવશે.
ગઈકાલે ચૂંટણી પંચે ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. પેટાચૂંટણી માટે મતદાનની તારીખ 19 જૂન નક્કી કરવામાં આવી હતી. પરિણામો 23 જૂને આવશે. ભારતના ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરી હતી. રાજીનામા અથવા મૃત્યુને કારણે પાંચેય બેઠકો ખાલી પડી હતી. જે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તેમાં ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે કેરળની નિલામ્બુર વિધાનસભા બેઠક, પંજાબની લુધિયાણા વિધાનસભા બેઠક અને પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીઓ યોજાવાની છે.