ગાંધીનગર, 4 જાન્યુઆરી 2026: Epidemic due to contaminated water in Gandhinagar શહેરના જૂનાં સેક્ટરોમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વ્યાપક પ્રમાણમાં ફેલાવાથી સ્થાનિક દવાખાનાં અને હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. સ્માર્ટ સિટી અંતર્ગત 24 કલાક પાણી આપવાની ગુલબાંગો વચ્ચે નાગરિકોને નળમાં ગંદું અને પીવા માટેનું અયોગ્ય પાણી મળી રહ્યું છે, જે શાસકો અને વહીવટી તંત્રની નિષ્ફળતા છતી કરે છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઇફોઇડનો વિસ્ફોટ થયો છે, જેમાં 100થી વધુ બાળકો સહિત અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકાનો ઉછાળો આવતાં હાહાકાર મચી ગયો છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં ગટરનું પાણી ભળી જવાની ગંભીર બેદરકારી સામે આવતાં સેક્ટર-24, 28 અને આદિવાડા જેવા વિસ્તારો રોગચાળાની લપેટમાં આવ્યા છે. તપાસ દરમિયાન પાણી પીવાલાયક ન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવા દૂષિત પાણી પીવાથી અત્યારસુધીમાં 16 લોકો મોતને ભેટ્યા છે. ગાંધીનગરમાં તંત્ર સમયસર પગલાં નહીં લે તો મોટી જાનહાનિ થવાની શક્યતા છે.
તેમણે તંત્ર સામે આક્ષેપો કરતા કહ્યું હતું કે, ગાંધીનગર શહેરના જૂનાં સેક્ટરોમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીના વિતરણને કારણે જન આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં વારંવાર પડતા ભંગાણને કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદું પાણી ભળતું હોવાની ગંભીર ફરિયાદો ઊઠી છે. પાણી અને ગટરની લાઈનો નાખવાની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળી પાઈપલાઈનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ નક્કર કે અસરકારક કામગીરી જમીન સ્તર પર દેખાતી નથી.
ભાજપ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હોવાનો સ્પષ્ટ આરોપ કરતા ડૉ. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું. કે, તાજેતરમાં બાલાસિનોર, કડી, કલોલ, હળવદ, મોરબી, સુરત, પંચમહાલ સહિત અનેક વિસ્તારોમાં પ્રદુષિત પાણીથી અનેક પરિવારો ગંભીર બિમારીમાં સપડાયા હતા. ગુજરાતના 85% એટલે કે 28માંથી 33 જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં ખારાશ (salinity) વધારે છે, જેનાથી પાણી પીવા લાયક નથી રહેતું. 91% જિલ્લાઓ એટલે કે 30 જિલ્લામાં ફ્લોરાઇડનું પ્રમાણ મર્યાદા કરતાં વધારે છે, જે હાડકાં અને દાંતની બીમારીઓ (ફ્લોરોસિસ)નું કારણ બને છે. ૩૨ જિલ્લામાં નાઇટ્રેટનું પ્રદૂષણ વધારે છે, જે ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં ઓક્સિજનની કમીનું જોખમ વધારે છે. 12 જિલ્લાઓમાં આર્સેનિકનું પ્રમાણ વધારે છે, જે ત્વચા, ફેફસાં અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આયર્ન (લોહ)નું વધારે પ્રમાણ 14 જિલ્લાઓમાં જોવા મળે છે, જે પાણીનો રંગ અને સ્વાદ બગાડે છે અને આરોગ્યને અસર કરે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રના પાણીનું ઘૂસણખોરી (seawater intrusion) થવાથી ખારાશ વધે છે, ખાસ કરીને સુરેન્દ્રનગર અને કચ્છમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. નાઇટ્રેટ અને અન્ય પ્રદૂષકો ભૂગર્ભ જળમાં ભળે છે.


