
- કોઈ શખસોએ રેલવે ટ્રેક પર 20 ફૂટ લોખંડની એંગલ મૂકી,
- ટ્રેનના એન્જિનમાં લોખંડની એંગલ ફસાતા ટ્રેનના પાયલોટો તાત્કાલીક ટ્રેનને રોકી દીધી,
- ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી
અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા નજીક વંદે ભારત ટ્રેનને ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. વેરાવળ-અમદાવાદ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસને રવિવારે રાત્રિના સમયે અમદાવાદના ચાંદલોડીયા રેલવે સ્ટેશન નજીક ઉથાલવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. ચાંદલોડીયા-ખોડીયાર વચ્ચે રેલવે ટ્રેક પર 20 ફૂટ લોખંડની એંગલ મૂકી દેવામાં આવી હતી. જે ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતા પાયલોટો તાત્કાલીક ટ્રેનને રોકી હતી જેથી મોટી દુર્ઘટના ટળી છે. આ મામલે ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, શહેરના ચાંદલોડીયા-ખોડીયાર વચ્ચેથી પસાર થતી રેલવે લાઇન પર અજાણી વ્યક્તિએ 20 ફુટ લાંબી લોંખડની એન્ગલ વાળીને મુકીને વેરાવળથી આવી રહેલી વંદેભારત એક્સપ્રેસને ઉડાવી દેવા માટે કાવતરૃ ઘડયુ હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. રેલવે ટ્રેક પર લોંખડની એન્ગલ વંદેભારત એક્સપ્રેસના આગળના ભાગમાં ફસાઇ જતા ટ્રેનને ઉભી રાખીને એન્ગલ બહાર કાઢીને ટ્રેનને સલામત રીતે રવાના કરવામાં આવી હતી. રેલવે પોલીસે વેરાવળથી આવી રહેલી વંદેભારત એક્સપ્રેસને સલામત રીતે રવાના કરી રેલવે અને ઘાટલોડીયા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
સાબરમતીમાં આવેલા સર્વોત્તમનગરમાં રહેતા ભાગવત બેહેરાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડીવીઝનમાં ખોડીયાર રેલવે સ્ટેશન ખાતે સીનીયર સેક્શન એન્જીનિયર તરીકે નોકરી કરે છે. તેમને ચાંદલોડીયા બી પેનલ રલવે સ્ટેશન લાઇનથી ખોડીયાર રેલવે લાઇન વચ્ચે યોગ્ય રીતે રેલ વ્યવહાર જળવાઇ રહે તે જોવાની કામગીરી સોંપવામાં આવી છે. રવિવારે રાતના સાડા આઠ વાગે તેમને મેસેજ મળ્યો હતો કે, કોઇએ ખોડીયાર રેલવે લાઇન થાંભલા નંબર 510 પાસે રેલવે ટ્રેક પર લોંખડની એન્ગલ વાળીને મુકી હતી. આ સમયે વેરાવળથી આવી રહેલી વંદેભારત એક્સપ્રેસમાં લોંખડની એન્ગલ ફસાઇ જતા પાયલોટે ટ્રેનને ઉભી રાખતા મોટી ઘટના બનતા અટકાવી હતી.બાદમાં આશરે નવ મિનિટ બાદ ટ્રેનમાંથી એન્ગલ કાઢીને ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન તરફ રવાના કરવામાં આવી હતી. વંદેભારત એક્સપ્રેસ પસાર થઇ તે પહેલા આ ટ્રેક પરથી ગાંધીધામ જતી એક માલવાહક ટ્રેન પણ પસાર થઇ હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.