
- વિદ્યાર્થીઓ કોઈ કારણથી પરીક્ષા ન આપી શકે તેમને તક મળશે
- સીબીએસઈ બોર્ડ દ્વારા ડ્રાફટ ટૂંક સમયમાં જાહેર કરાશે
- વિદ્યાર્થીઓ માટે બંને વખત પરીક્ષા ફરજિયાત નહીં, એક જ પરીક્ષા આપવાની રહેશે
અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ 10ની પરીક્ષા પ્રણાલીમાં વર્ષ 2026થી મોટા ફેરફારો કરશે. એવા સંકેતો મળી રહ્યા છે. CBSE દ્વારા 2026થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી બીમાર પડી જાય છે અથવા કોઈ કારણસર તે પરીક્ષા આપી શકતો નથી, તો તે ફરીથી પરીક્ષા આપી શકશે. તેનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે, જેના પર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ પાસેથી અભિપ્રાય માંગવામાં આવશે.
સૂત્રોના કહેવા મુજબ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં CBSE અધિકારીઓ અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT), કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS), અને નવોદય વિદ્યાલય સમિતિ (NVS)ના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં સીબીએસઈ દ્વારા વર્ષમાં બે વખત પરીક્ષા લેવાના ફાયદા અને તેની પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે શિક્ષણ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરકાર બાળકો પર પરીક્ષાનું દબાણ ઘટાડવા માંગે છે અને તેમને સારો સ્કોર કરવાની બીજી તક આપવા માંગે છે. તેથી CBSE બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં બે વાર લેવામાં આવશે. જોકે, વિદ્યાર્થીઓ માટે બંને વખત પરીક્ષા આપવી ફરજિયાત રહેશે નહીં. વિદ્યાર્થીઓએ એક જ પરીક્ષા આપવાની રહેશે. શિક્ષણ મંત્રાલય માને છે કે, આનાથી વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી શીખવાને બદલે વિષયોની ઊંડી સમજણ વિકસાવવામાં મદદ મળશે અને કોચિંગ પરની નિર્ભરતા પણ ઘટશે. આ એક તણાવમુક્ત શિક્ષણ વાતાવરણ બનાવવાની દિશામાં જરૂરી પગલું છે. તેમણે કહ્યું કે, પરીક્ષા સુધારણા અને ફેરફારો આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ સુધારો પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવામાં મદદ કરશે અને સંતુલિત મૂલ્યાંકન પ્રણાલીને સુનિશ્ચિત કરશે. CBSE 2026-27 શૈક્ષણિક વર્ષથી તેની 260 વિદેશી શાળાઓ માટે એક વૈશ્વિક અભ્યાસક્રમ પણ શરૂ કરશે.