
- શિવજીની વિધિવત પૂજા કરી અભિષેક કરાશે,
- ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે શિવજીની જટા પર ગંગાજળ અભિષેક કરાશે,
- ભક્તોએ ત્રિવેણી માતાની મહાઆરતી કરી જળ સ્થાપત્યની સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેશે,
સોમનાથઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. સોમનાથ મંદિર ટસ્ટ્ર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સોમનાથના ત્રિવેણી સંગમ પર ગંગા અવતરણની પૂજા અને મહા આરતીનું જેઠસુદ દશમના દિને આયોજન કરવામાં આવ્યું છે.
જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન, પુજા અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવશે. ત્રિવેણી સંગમ ખાતે ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવશે.
આપણી સંસ્કૃતિની ધરોહર એવા જલ સ્થાપત્યો સ્વચ્છ અને ગૌરવમય રહે તેના માટે ક્યારેય પણ નદી કુવા તળાવ વાવ કે સમુદ્રમાં કોઈપણ પ્રકારનો કચરો ન નાખવાની અને પ્રકૃતિને લક્ષમાં રાખીને પૂજા કાર્ય કરવાનો તમામને સંકલ્પ લેવડાવવામાં આવશે. મહાઆરતી પછી તમામ ભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આરતી માટે પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ ન કરવો અને તમામ ભક્તોએ આરતીની થાળી અને દીપ પોતાની સાથે લઇને આવવાનું રહેશે.