1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરદાર પટેલ યુનિવર્સિટીના 68મા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને રાજ્યપાલે આપી શીખ
સરદાર પટેલ યુનિવર્સિટીના 68મા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને રાજ્યપાલે આપી શીખ

સરદાર પટેલ યુનિવર્સિટીના 68મા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને રાજ્યપાલે આપી શીખ

0
Social Share
  • પદવીધારકો પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરે: રાજ્યપાલ,
  • રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે અમૂલ મોડલ કરશે, ડો. મિનેશ
  • સરદાર પટેલ યુનિના 16963 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ

આણંદઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવ પદવીધારકોને પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરવા અનુરોધ કર્યો હતો. અજ્ઞાન, અભાવ અને અન્યાયથી મુક્ત કરાવે તે સાચી વિદ્યા છે તેમ જણાવતા રાજ્યપાલએ શુદ્ધ અને  પવિત્ર ભાવ સાથે સમાજમાં સામાજિક પરંપરાઓ સાથે જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા શીખ આપી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને @૨૦૪૭ સુધી વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનના આ સ્વપ્નને સાકાર કરવા યુવાનો સહિત નાગરિકો પોતાના અધિકાર સાથે ફરજોનું પણ ઈમાનદારીથી પાલન કરી સહયોગ આપવા જણાવ્યું હતું.

સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૮મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજયપાલ  આચાર્ય દેવવ્રતજીએ વિવિધ વિદ્યાશાખાના ૧૬,૯૬૩ વિદ્યાર્થીઓને સ્નાતક અને  અનુસ્નાતકની પદવી તથા ૭૫ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ૧૦૩ સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. રાજ્યપાલના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પદવીધારકોને ડીજી લોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલએ ૨૨ ભારતીય  અને ૩૦ આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં તૈયાર કરવામાં આવનાર સરદાર યુનિટી ક્વિઝનુ ડીઝીટલી અનાવરણ કર્યું હતું.

સરદાર પટેલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરક બળ અને વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડનાર પૂજ્ય દીદીજી (શ્રીમતી જયશ્રી ઉર્ફે ધનશ્રી આઠવલે તલવલકર) ને તેમના અપ્રતિમ સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ તેમજ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અનુપમ મિશનના સ્થાપક  જશભાઈ શંકરભાઈ પટેલ (ગુરુહરિ સંતભગવંત પૂજ્ય સાહેબજી) ને તેમના અનોખા આધ્યાત્મિક અને સામાજિક યોગદાન બદલ ‘Doctor of Letters’ (D.Litt.)  માનદ પદવીથી રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતના હસ્તે વિભૂષિત કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલએ ઉમેર્યું હતું કે,આપણી ઋષિ અને ગુરુકુળ પરંપરામાં માનવીય જીવન મૂલ્યો, સંસ્કાર, માનવતા અને આધ્યાત્મિકતાનું શિક્ષણ આપવામાં આવતું હતું.

રાજ્યપાલે આધુનિક યુગમાં માનવીને માનવતાવાદી, પરોપકાર,રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર વ્યવહાર, ધાર્મિક પરંપરાઓ સાથે સત્ય, ઈમાનદારી, પ્રેમ, કરુણા અને દયા સહિત મન અને કર્મની સાથે અંતર આત્માને પવિત્રતા આપે એવા શિક્ષણની હિમાયત  કરી હતી.

દીક્ષાંત પ્રવચન આપતા રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમના ચેરમેન ડો. મિનેશ શાહે જણાવ્યું હતું કે, આજે અનેક પડકારો વચ્ચે દુનિયા નવાચાર સાથે આગળ વધી રહી છે, ત્યારે વિશ્વવિદ્યાલયમાંથી મેળવેલા જ્ઞાનનો સમાજ,રાષ્ટ્ર અને સમાજના છેવાડાના માનવીના  ઉત્થાન માટે કરી  આત્મ વિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા હાકલ કરી હતી.

ડો.મિનેશ શાહે જણાવ્યું કે કેન્દ્રીય સહકારિતા વિભાગ દ્વારા દેશમાં બે લાખ ગામડાઓમાં વિવિધલક્ષી સહકારી મંડળીઓની રચના કરવામાં આવનાર છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમને આ પૈકી ૭૫ હજાર ગામડાંઓ આવી મંડળીઓની રચના કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં આ તમામ ગામડાઓ સહકારિતા માધ્યમ સાથે જોડાશે.

પ્રારંભમાં યુનિવર્સિટીના કુલપતિ ડો.નિરંજન પટેલે સૌનો આવકાર કર્યો હતો. તેમણે યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું ડિજિટલી વાંચન કર્યું હતું અને જણાવ્યું હતું કે  સરદાર  પટેલ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં ૪,૦૭,૭૨૯ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code