1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ વીજગ્રાહકોને વર્ષ-2024 દરમિયાન કુલ 2004 કરોડ રૂપિયાની રાહત અપાઈ
ગુજરાતઃ વીજગ્રાહકોને વર્ષ-2024 દરમિયાન કુલ 2004 કરોડ રૂપિયાની રાહત અપાઈ

ગુજરાતઃ વીજગ્રાહકોને વર્ષ-2024 દરમિયાન કુલ 2004 કરોડ રૂપિયાની રાહત અપાઈ

0
Social Share

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ-2024 દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં કુલ સરેરાશ રૂ. 2004 કરોડની રાહત આપવામાં આવી છે.

આ અંગેની વિગતો આપતાં ઊર્જા મંત્રીએ જણાવ્યું કે વીજ નિયમન પંચ દ્વારા દર ત્રણ મહિને રાજ્યમાં જે પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય, તેની સામે થયેલા ખર્ચની ગણતરી કરીને તે મુજબ ફ્યૂઅલ ચાર્જ નિયત કરવામાં આવે છે.

મંત્રીએ જણાવ્યું કે ગુજરાત સમગ્ર દેશમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સોલાર અને વિન્ડ એનર્જીમાં અગ્રસ્થાને છે. છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની કુલ રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા 15,400 મેગાવોટથી વધીને 32,300 મેગાવોટ કરવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન બે વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તા. 1-1-2024ની અસરથી યુનિટદીઠ 50 પૈસા, જ્યારે તા. 1-10-2024થી 40 પૈસા એમ બે વખત ઘટાડો કરવામાં આવતાં વર્ષ-2024માં વીજગ્રાહકોને કુલ રૂ. 2004 કરોડની સરેરાશ રાહત આપવામાં આવી છે. વીજ નિયમન પંચ દ્વારા આગામી સમીક્ષા ન થાય ત્યાં સુધી રાજ્યના 1 કરોડ 50 લાખ વીજગ્રાહકો માટે આ ઘટાડો લાગુ રાખવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ ઘટાડાથી વર્ષ-2024 દરમિયાન જુનાગઢ જિલ્લાના 4,39,917 વીજગ્રાહકોને કુલ રૂ. 16.68 કરોડની રાહત આપવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

આ જ પ્રકારે, રાજ્યના બીપીએલ કાર્ડ ધારકોને વીજબિલના દરોમાં અપાતી રાહત અંગે ઊર્જા મંત્રીએ જણાવ્યું કે અન્ય રહેણાંક વિસ્તારોના વીજ ગ્રાહકોની સરખામણીએ બીપીએલ કાર્ડધારકો માટે વીજદરો ઓછા હોય છે. જે મુજબ રહેણાંક વિસ્તારના ગ્રાહકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. 15/-થી 70/- છે, જ્યારે બીપીએલ કાર્ડધારકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. 5/- છે. આ જ પ્રાકારે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ 50 યુનિટદીઠ ચાર્જ રૂ. 2.65 જ્યારે શહેરી વિસ્તારોમાં પ્રથમ 50 યુનિટના રૂ. 3.05ની સરખામણીએ બીપીએલ કાર્ડધારકો માટે પ્રથમ 50 યુનિટ દીઠ રૂ. 1.50 લેખે વીજ ચાર્જ આકારવામાં આવે છે.

વધુમાં, મંત્રીએ જણાવ્યું કે જ્યોતિગ્રામ યોજનાનો લાભ મેળવતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કેબલિંગના કામનું નવીનીકરણ કરવાનું પણ આયોજન છે, જેના માટે નાણાકીય અંદાજપત્રમાં પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code