પાલનપુર, 11 માર્ચ 2026: Farmers and traders suffer losses as potato exports halt ઉત્તર ગુજરાતમાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેમાં બનાસકાંઠાના ડીસા પંથકના બટાકાની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. પણ હાલ ખાડી યુદ્ધને લીધે ભારતમાંથી થતી આયાત અને નિકાસને મોટો ફટકો પડ્યો છે. જેમાં બટાકાની નિકાસ પણ અટકી ગઈ છે. જેના લીધે ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો અને વેપારીઓને નુકશાન સહન કરવાની નોબત આવી છે. વેપારીઓ નફો કમાવવા માટે ખેડૂતો પાસેથી બટાટા ખરીદી કરી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી બહારના દેશોમાં નિકાસ કરતા હોય છે પરંતુ આ વખતે વેપારીઓ પણ યુદ્ધની સ્થિતિમા નુકસાન કરે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
ઈરાન ઈઝરાયેલ ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે બનાસકાંઠાના ખેડૂતો પર પણ જોવા મળી રહી છે. બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં થતો બટાટાનો પાક સામાન્ય રીતે ખાડી દેશોમાં નિકાસ થતો હોય છે પરંતુ હાલ યુદ્ધના કારણે નિકાસ અટકી ગઈ છે. જો યુદ્ધની પરિસ્થિતિ યથાવત રહેશે તો ખેડૂતોને જ નહીં આ વખતે વેપારીઓને પણ ભારે નુકસાન સહન કરવુ પડશે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આ વખતે પણ મોટું નુકસાન થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. કુદરતની કમોસમી વરસાદની માર બાદ હવે ઈરાન ઈઝરાયેલના યુદ્ધે ખેડૂતોની ચિંતા વધારે દીધી છે. યુદ્ધના કારણે બટાટાની નિકાસ ખાડી દેશોમાં અટકી ગઈ છે જેના કારણે બજારમાં બટાટાના ભાવ તળિયે બેસી ગયા છે. હાલ સ્થિતિ એવી છે કે બટાટાના ભાવ 100 રૂપિયાની અંદર પહોંચી ગયા છે પરિણામે ખેડૂતોને પોતાની મજૂરી પણ ન મળતી હોવાની પરિસ્થિતિ સર્જાઈ છે. એટલું જ નહી ખેડૂતો સાથે સાથે બટાટા ખરીદીને બેઠેલા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.
બનાસકાંઠા જિલ્લો બટાટાના ઉત્પાદનમાં રાજ્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં બટાટાનું ઉત્પાદન થયું છે. ખેડૂતોને આશા હતી કે ઉત્પાદન સારું હોવાથી નિકાસ પણ સારી થશે જેથી સારા ભાવ મળશે પરંતુ ખેડૂતોની આશા પર હાલ તો પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને બનાસકાંઠાના બટાટા ખાડી દેશોમાં મોટી માત્રામાં નિકાસ થતા હોય છે. પરંતુ હાલ ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે નિકાસ પર તેની મોટી અસર પડી છે. નિકાસ અટકતા સ્થાનિક બજારમાં બટાટાની આવક વધી ગઈ છે અને માંગ ઓછી હોવાથી ભાવ તળિયે પહોંચી ગયા છે. હાલ બટાટાના ભાવ 100 રૂપિયાની અંદર આવી ગયા છે. જેના કારણે ખેડૂતોને પોતાની મજૂરી અને ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી. મહેનતથી વાવેલો બટાટાનો પાક સસ્તા ભાવે વેચવાનો વારો આવતા ખેડૂતોમાં ચિંતા વધી છે.


