
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધાઓ વધારવાના પ્રયાસોના ભાગરૂપે, કેન્દ્ર સરકાર દ્વારા હિંમતનગરમાં નવી પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આ કોલેજમાં વર્ષ 2025-26થી 80 સીટ પર પ્રવેશની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થશે.
ગુજરાતમાં પાંચમી વેટરનરી કોલેજ
કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત શરૂ થનારી આ કોલેજ ગુજરાતની પાંચમી વેટરનરી કોલેજ છે. આ પહેલાં આણંદ, નવસારી, જૂનાગઢ અને દાંતીવાડામાં આ પ્રકારની કોલેજો કાર્યરત છે. વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (VCI) દ્વારા નિરીક્ષણ અને સમીક્ષા બાદ આ કોલેજને મંજૂરી મળી છે.
પ્રવેશ અને અભ્યાસક્રમ:
પ્રવેશ: ધોરણ 12 પાસ કર્યા બાદ NEET પરીક્ષાના પરિણામના આધારે પ્રવેશ મળશે.
કોર્સ: વિદ્યાર્થીઓ ‘બેચલર ઓફ વેટરનરી સાયન્સ (BVSc)’ અને ‘એનિમલ હસ્બન્ડરી ડિગ્રી કોર્સ’નો અભ્યાસ કરી શકશે.
સ્ટાફ: કોલેજમાં 1 પ્રિન્સિપાલ, 4 પ્રોફેસર, 7 એસોસિએટ પ્રોફેસર અને 34 આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત કુલ 69નો સ્ટાફ નિમણૂક પામ્યો છે.
અત્યાધુનિક સુવિધાઓ:
આ કોલેજનું કેમ્પસ 23 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને તે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. વિદ્યાર્થીઓને ઓછી ફીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત અભ્યાસની સાથે સાથે રહેવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
પશુ કલ્યાણમાં ગુજરાત અગ્રેસર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પશુઓના સ્વાસ્થ્ય માટે વ્યાપક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં પશુ હેલ્થકાર્ડ, પશુ આરોગ્ય મેળા અને પશુઓના મોતિયાના ઓપરેશન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ નવી કોલેજ આ અભિયાનને વધુ વેગ આપશે અને રાજ્યમાં પશુ ચિકિત્સા ક્ષેત્રે નિષ્ણાતોની સંખ્યામાં વધારો કરશે.