
- ખાણીપીણી અને બેઠાડુ જીવનને લીધે હ્રદયરોગના કેસમાં વધારો
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ 128 હ્રદયરોગના દર્દીઓને દાખલ કરવા પડે છે
- આ વર્ષે 13 હજાર બાળકોને ઈકોકાર્ડિયો કરવાની જરૂર પડી
અમદાવાદઃ ગુજરાતમાં હ્રદયરોગના દર્દીઓ વધતા જાય છે. ખાણીપીણી અને બેઠાડુ જીવનને લીધે હ્રદયરોગના દર્દીઓ વધતા જતા હોવાનો તબીબોનો મત છે. અમદાવાદ સહિત તમામ શહેરોમાં હ્રદય સંબંધિત દર્દીઓ વધી રહ્યા છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં હ્રદયરોગના દર્દીઓનું પ્રમાણ ઓછું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન 925 દર્દીઓ હ્રદયરોગની સારવાર માટે આવે છે.જેમાં 128 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલની હાર્ટ હોસ્પિટલમાં હાલ પ્રતિ દિવસે સરેરાશ 925 દર્દી સારવાર માટે આવે છે. આ ઉપરાંત દૈનિક સરેરાશ 128 દર્દીને દાખલ કરવા પડે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની સિવિલની હાર્ટ હોસ્પિટલમાં આ વર્ષે અત્યારસુધી આઉટડોરમાં 1.32 લાખ, ઈન્ડોરમાં 18239 જેટલા દર્દી નોંધાયા છે. જેમાં 174 દર્દીમાં બલૂન, 539માં ડિવાઇસ, 501માં પેસમેકર, 2842માં સ્ટેન્ટ વિના પ્લાસ્ટિ જેવી હૃદયની સારવાર કરાઇ છે. કુલ 98214 ઈસીજી કરવામાં આવ્યા છે. કુલ 77702 દર્દીમાં ઈકો કરાયું છે. આ પૈકી 12944 બાળ દર્દીઓનો પણ સમાવેશ થાય છે.
હોસ્પિટલના તબીબોના કહેવા મુજબ અમદાવાદ સિવિલની હાર્ટ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી ૩ લાખથી વધુ દર્દી ઓપીડીમાં નોંધાય છે. જેમાં 2023માં 3.35 લાખ, 2024માં 3.63 લાખ દર્દીઓનો સમાવેશ થાય છે. આ સિવાય 2023માં 47230, 2024માં 50,077 દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલની હાર્ટ હોસ્પિટલ ઉપરાંત ખાનગીમાં પણ હવે હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓ વધી રહ્યા છે. જેમાં 40થી ઓછી વયના યુવા દર્દીઓનું પ્રમાણ હવે ચિંતાજનક રીતે વધી રહ્યું છે.