
- પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલ,
- ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત કુલ 17.48 કરોડથી વધુ રોપાઓનું વાવેતર,
- રાજ્યમાં કુલ 23 વિવિધ ‘સાંસ્કૃતિક વન’નું નિર્માણ કરાયુ
ગાંધીનગરઃ દેશભરમાં પર્યાવરણના સંવર્ધન,સંરક્ષણ અને વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેકવિધ નવા પર્યાવરણલક્ષી પ્રક્લ્પો તેમજ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેનું ઉત્તમ ઉદાહરણ છે ‘એક પેડ માં કે નામ’.
ગુજરાત સહિત ભારતભરમાં દર વર્ષે તા. 5 જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં અને વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે વન વિભાગ દ્વારા ‘સામાજિક વનીકરણ-સોશિયલ ફોરેસ્ટી’ રૂપે અનેકવિધ નવીન પહેલ શરૂ કરવામાં આવી છે.
વન બહારના વિસ્તારોમાં 1,143 ચો.કિ.ના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. પર્યાવરણના જતન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2024-25માં વન અને પર્યાવરણ વિભાગનું બજેટ જે રૂ.2,586 કરોડ હતું જે આ વર્ષે 2025-26માં 20 ટકા વધારીને રૂ 3,139 કરોડ કરાયું છે.
પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલના ભાગરૂપે વન વિભાગની સામાજિક વનીકરણ પાંખ દ્વારા સમગ્ર રાજ્યમાં ‘એગ્રો ફોરેસ્ટ્રી’ યોજના અંતર્ગત વર્ષ 2023-24માં અંદાજે 14,939.60 હેક્ટર અને વર્ષ 2024-25માં 31,000 હેક્ટર આમ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ 45,939 હેક્ટર વિસ્તારમાં ખેડૂતલક્ષી વાવેતર કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ અંતર્ગત ગત વર્ષે વન વિભાગ દ્વારા (1) હરીત વન પથ વાવેતર (2) પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર (3) અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને (4) નર્સરીમાં ટોલ સીડલીંગ એમ ચાર નવીન યોજનાઓમાં પણ અમલી બનાવવામાં આવી છે.
રાજ્યમાં ‘હરિત વન પથ’ યોજના હેઠળ કુલ 70 હેક્ટર વિસ્તારમાં, ‘પંચ૨ત્ન ગ્રામ વાટિકા’ મોડેલ હેઠળ કુલ 1000 ગામડાંઓમાં તેમજ ‘પંચરત્ન વાવેતર મોડેલ’ હેઠળ કુલ 65 અમૃત સરોવર ફરતે વૃક્ષોનું વાવેતર ક૨વામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં કુલ 211 ‘વન કુટીર’, સમગ્ર રાજ્યમાં કુલ 20‘પંચવટી કેન્દ્ર’, રાજ્યમાં કુલ 58 ‘પવિત્ર ઉપવન’ તૈયાર ક૨વામાં આવ્યા છે.
વધુમાં સામાજિક વનીકરણ અંગે જાગૃતિ માટે સમગ્ર રાજ્યમાં કુલ 166 ‘કિસાન શિબિર’, કુલ 66 મેડીકલ કેમ્પ તેમજ રાજ્યમાં કુલ 66,000 કલમી ફળાઉ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કુલ23 સાંસ્કૃતિક વનોનું નિર્માણ ક૨વામાં આવ્યું છે. છેલ્લે ગત વર્ષ 2024માં 75માં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી દરમિયાન દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે ‘હરસિદ્ધિ વન’નું મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં રાષ્ટ્રીય વૃક્ષ વડના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને લોકહૃદયમાં સ્થાપિત કરવા માટે કુલ 82 સ્થળોએ ‘નમો વડ’ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં કુલ 300 હેક્ટર વિસ્તારમાં 207 વન કવચ તૈયાર ક૨વામાં આવ્યા છે.