1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં મિશ્ર ઋતુંને કારણે રોગચાળો વકર્યો, શરદી-ઉધરસ તાવના ઘેર-ઘેર દર્દીઓ
રાજકોટમાં મિશ્ર ઋતુંને કારણે રોગચાળો વકર્યો, શરદી-ઉધરસ તાવના ઘેર-ઘેર દર્દીઓ

રાજકોટમાં મિશ્ર ઋતુંને કારણે રોગચાળો વકર્યો, શરદી-ઉધરસ તાવના ઘેર-ઘેર દર્દીઓ

0
Social Share
  • ખાનગી અને સરકારી દવાખાને દર્દીઓની લાગતી લાઈનો
  • મ્યુનિના ચોપડે શરદી-ઉધરસ અને તાવનાં 1803 દર્દી નોંધાયા
  • ઝાડા-ઊલટી સહિત વિવિધ રોગના 2000 કેસ નોંધાયા

રાજકોટઃ શહેરમાં હાલ બપોરના ટાણે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યુ હતું. બે ઋતુને કારણે શહેરમાં વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે. શહેરના મ્યુનિના આરોગ્ય વિભાગના ચોપડે સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસ અને તાવનાં 1803 દર્દી નોંધાયા છે. જ્યારે ઝાડા-ઊલટીના 184 તેમજ ડેંગ્યુ અને ટાઇફોઇડનાં 2-2 કેસ નોંધાયા છે, એટલું જ નહીં સતત બીજા સપ્તાહે કામળાનો વધુ એક કેસ નોંધાયો છે. જ્યારે વિવિધ રોગના મળી કુલ 1992 કેસ નોંધાતા મ્યુનિનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. અને રોગચાળો કાબુમાં રાખવા ફોગીંગ સહિતની વિવિધ કામગીરી ઝડપી કરવામાં આવી છે.

શહેરના મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા સપ્તાહમાં મ્યુનિ. સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. શરદી- ઉધરસનાં ગત સપ્તાહના 949 સામે છેલ્લા સપ્તાહે 991 કેસ, ઝાડા-ઊલટીનાં 184, સામાન્ય તાવનાં 812 કેસ નોંધાયા હતા. ઉપરાંત સતત બીજા સપ્તાહે અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનાં બે  કેસ અને કમળાનો પણ એક કેસ નોંધાયો છે. આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો કુલ દર્દીનો આંકડો 10,000 કરતા વધુ હોવાની પણ શક્યતા છે.

આરએમસીના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં હાલમાં સવારે અને રાત્રે શિયાળો તો બપોરના સમયે ઉનાળો એમ મિશ્રઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આવા વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન વધવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ.  સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મ્યુનિના આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે.

રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 10 ફેબ્રુઆરીથી લઈ 16 ફેબ્રુઆરી સુધીમાં 33,197 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 718 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 332 તો કોર્મશીયલમાં કુલ 189 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ મચ્છરની ઉત્પત્તિ બદલ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. હાલ ડેંગ્યુનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમ છતાં મનપા દ્વારા જે સ્થળેથી ડેંગ્યુનાં કેસો સામે આવ્યા હતા, તેવા સ્થળે ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code