1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં રાજભવનના કર્મીઓ માટે આવાસીય પરિસર ‘ઐશ્વર્યમ્’નું લોકાર્પણ
ગાંધીનગરમાં રાજભવનના કર્મીઓ માટે આવાસીય પરિસર  ‘ઐશ્વર્યમ્’નું  લોકાર્પણ

ગાંધીનગરમાં રાજભવનના કર્મીઓ માટે આવાસીય પરિસર ‘ઐશ્વર્યમ્’નું લોકાર્પણ

0
Social Share
  • ઐશ્વર્યમ્‘ આશ્રય સુખશાંતિ આપે એ જ અભ્યર્થનાઃ રાજ્યપાલ
  • ઐશ્વર્યમ્‘ પરિસરમાં ચ-કક્ષાના96, ઘ-કક્ષાના 32, ગ-અને ક કક્ષાના ચાર ચાર આવાસો,
  • કોમ્યુનિટી હૉલઆરોગ્ય કેન્દ્ર, 10 દુકાનો અને વિશાળ ઉદ્યાનનું નિર્માણ સંપન્ન

ગાંધીનગરઃ રાજભવનના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર – ‘ઐશ્વર્યમ્’ નું રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે લોકાર્પણ કર્યું હતું. રાજભવન પરિવારને અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ આવાસો અર્પણ કરતાં  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ‘ઐશ્વર્યમ્’ એટલે સુખ-સમૃદ્ધિ અને ધન-સંપદા. આ આવાસીય પરિસર રાજભવનના પરિવારજનોને આશ્રયની સાથોસાથ સુખ, સન્માન, શાંતિ અને સંતોષ પણ આપે એ જ અભ્યર્થના.

ગાંધીનગરના જ-માર્ગ પર વર્ષોથી રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ હતા.  આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો ત્યારે તેમણે અત્યંત જર્જરીત થઈ ગયેલા સ્ટાફ ક્વાર્ટર્સના નવનિર્માણનું કામ હાથમાં લીધું હતું. તા. 1 નવેમ્બર 2022 ના રોજ તેમણે આવાસીય પરિસરના નવનિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. આજે 937 દિવસમાં આ પરિસરમાં ચ-કક્ષાના 96, ઘ-કક્ષાના 32, ગ-1 કક્ષાના ચાર અને ક-કક્ષાના ચાર ભવ્ય આવાસોનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત આ પરિસરમાં ભવ્ય કોમ્યુનિટી હૉલ- ‘સરસ્વતી સદનમ્’, સંપૂર્ણ સુવિધાયુક્ત રાજભવન આરોગ્ય કેન્દ્ર, 10 દુકાનો અને વિશાળ ઉદ્યાનનું નિર્માણ સંપન્ન થયું છે. આ આવાસીય પરિસરને ‘ઐશ્વર્યમ્’ નામ આપવામાં આવ્યું છે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ તક્તિનું અનાવરણ કરીને ‘ઐશ્વર્યમ્’ નું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલએ આજે આ પરિસરમાં સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના એ.ટી.એમ.  સેન્ટરનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ‘સરસ્વતી સદનમ્’ માં આયોજિત લોકાર્પણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ‘ઐશ્વર્યમ્’ માં હંમેશા ભાઈચારો, એકતા અને પરસ્પર સહિષ્ણુતાનું વાતાવરણ જળવાઈ રહે. રાજભવનની કોલોનીમાં ક્યારેય કોઈ દૂર્વ્યસન કે અનુચિત આચરણ ન થાય એ જોવાની જવાબદારી હવે અહીં વસતા પરિવારોની છે. બાળકો સૌથી મોટી પૂંજી છે. ‘ઐશ્વર્યમ્’ માં રહેતા-ઉછરતા બાળકોને એવું જીવન મળે કે તેઓ મોટા થઈને ઈતિહાસ રચે એવા પદ પર પહોંચે.

‘ઐશ્વર્યમ્’ આદર્શ કોલોની બને એવી અભિલાષા વ્યક્ત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કોઈને પણ આદર્શ કોલોની જોવી હોય તો તે રાજભવનની ‘ઐશ્વર્યમ્’ કોલોની જોવા આવવું જોઈએ. આ સુંદર પરિસર અહીં વસતા પરિવારોના જીવનની સમૃદ્ધિનો આધાર બને એમ તેમણે કહ્યું હતું. ‘ઐશ્વર્યમ્’ માં વસતા પરિવારો પ્રગતિ કરે, ઉન્નતિ કરે અને ઐશ્વર્યશાળી બને એવી શુભકામનાઓ સાથે તેમણે પરિસરનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલશ્રીએ આજે આ પરિસરના ઉદ્યાનમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું તથા આવાસીય પરિસરનું અવલોકન કર્યું હતું.

રાજ્યપાલના અગ્ર સચિવ  અશોક શર્માએ રાજભવન પરિવારવતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, રાજ્યપાલના સતત માર્ગદર્શનથી આ ભવ્ય અને સુંદર પરિસરનું નિર્માણ થયું છે, ત્યારે આપણા સૌની જવાબદારી છે કે, તેને ભૌતિક અને નૈતિક રીતે સ્વચ્છ રાખીએ. અહીં રહેતા કર્મયોગી કોઈ પ્રકારનું વ્યસન ના કરે અને આ પરિસરને એક આદર્શ પરિસર બનાવવામાં સહયોગી બને તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code