ગુજરાત વિધાનસભા સંકુલમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન પ્રદર્શનનું ઉદઘાટન
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2026: Natural agricultural products exhibition ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે વિધાનસભા સંકુલ ખાતે ખેડૂતો અને પ્રજાજનોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવેલા કુલ ૯ ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન’ સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રદર્શન સ્ટોલના ઉદ્ઘાટન બાદ રાજ્યપાલ સહિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શિત કરવામાં આવેલી પ્રાકૃતિક ચીજવસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે કામધેનુ નેચરલ અને પ્રાકૃતિક કૃષિ ફાર્મ, આડેસર વિસ્તાર ખેત ઉત્પાદન પ્રો. કંપની લી., રમીબા અને રમાબા પ્રાકૃતિક કૃષિ ફાર્મ, નીર પ્રાકૃતિક ફાર્મ, પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ, આણંદ, નવસારી, સરદાર કૃષિનગર દાંતીવાડા અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્ટોલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વિધાનસભા સચિવ સી.બી.પંડ્યા સહિત વિધાનસભા અને કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


