
ભારતની વોટર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં પાણીની વિકટ સમસ્યા, બે મુખ્ય જળાશયો થયા ખાલી
પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે અપનાવેલી ‘વોટર સ્ટ્રાઇક’ રણનીતિને પગલે પાકિસ્તાનમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. ભારતના આ પગલા પછી, સિંધુ નદીના તટપ્રદેશમાં પાકિસ્તાનના જળાશયોમાં પાણીના પ્રવાહમાં ભારે ઘટાડો થયો છે. દેશભરના જળાશયોનું પાણીનું સ્તર ખતરનાક રીતે નીચા સ્તરે પહોંચી ગયું છે. માંગલા અને તરબેલા જેવા મુખ્ય ડેમ સુકાઈ ગયા છે, જેના કારણે સિંચાઈ પર અસર પડી રહી છે અને ખરીફ પાકની વાવણી અટકી જવાનો ભય છે.
ભારતે ચિનાબ નદીમાં પાણીનો પ્રવાહ ઘટાડ્યા પછી, પાકિસ્તાનની સિંધુ નદી પ્રણાલીમાં પાણીની અછત ગયા વર્ષની સરખામણીમાં ઝડપથી વધી રહી છે. પરિસ્થિતિ એવી છે કે માંગલા અને તરબેલા ડેમમાં પાણીનો સંગ્રહ અડધાથી પણ ઓછો થઈ ગયો છે. તાજેતરના ડેટા અનુસાર, ખૈબર પખ્તુનખ્વામાં તરબેલા ડેમ પર સિંધુ નદી 1,465 મીટર પર છે. સિંધુ નદી પર પંજાબમાં ચશ્મા ડેમમાં પાણીનું સ્તર પણ 644 મીટર છે. તે જ સમયે, મીરપુરમાં ઝેલમ નદી પર મંગલા ડેમ 1,163 મીટર પર છે. પંજાબના સિયાલકોટના મરાલામાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. અહીં ચેનાબ નદીનો સરેરાશ પ્રવાહ 28 મેના રોજ 26,645 ક્યુસેકથી ઘટીને 5 જૂને 3064 ક્યુસેક થયો છે.
ખરીફ પાક માટે નદીની નહેરોમાંથી પાણી ન મળવાને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. સિંધુ-જેલમથી ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ ઓછો છે. તીવ્ર ગરમી અને પાણીની અછતને કારણે ખેતરો પણ સુકાઈ રહ્યાં છે. આ ઉનાળામાં તીવ્ર તાપમાન વચ્ચે પાકિસ્તાનમાં ચોમાસાના આગમનમાં વિલંબ થવાને કારણે સિંચાઈની સમસ્યા વધુ ગેરી બની છે. જૂનના અંત સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા ઓછી છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડી શકે છે.
22 એપ્રિલે પહેલગામ હુમલા પછી, ભારતે 23 એપ્રિલે જાહેરાત કરી હતી કે તે હવે સિંધુ જળ સંધિનો અમલ કરશે નહીં. કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, ‘લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી.’ એટલે કે, જ્યારે પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદીઓ ભારતમાં લોહી વહેવડાવી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનને પાણી આપવું એ રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ છે.