
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરની ઓમર અબ્દુલ્લાની સરકારના મંત્રીઓના વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ અંગે આદેશ જારી કર્યો છે. સીએમ ઓમર અબ્દુલ્લાએ નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીને જાહેર બાંધકામ વિભાગ (PWD), ખાણકામ, શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ વિભાગ સોંપ્યો છે. જ્યારે સકીના મસૂદ ઈટૂને આરોગ્ય અને તબીબી, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને સમાજ કલ્યાણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, કલમ 370 હટાવ્યા બાદ, ઓમર અબ્દુલ્લાએ 16 ઓક્ટોબર, બુધવારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરી સહિત 5 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા. આજે તે તમામ મંત્રીઓના પોર્ટફોલિયોની જાહેરાત કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે 42 સીટો જીતી છે જ્યારે કોંગ્રેસને માત્ર 6 સીટો મળી છે. 90 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે 42, BJP 29, કોંગ્રેસ 6, PDP 3, JPC 1, CPIS 1, AAP 1, જ્યારે 7 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી.
સકીના ઇટુ જમ્મુ-કાશ્મીરના ડીએચ પોરાથી ધારાસભ્ય છે 4 વખત મંત્રી અને 4 વખત ધારાસભ્ય રહ્યાં છે. નાયબ મુખ્યમંત્રી અને નૌશેરાના નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય સુરેન્દ્ર ચૌધરીએ જમ્મુ-કાશ્મીરના ભાજપા અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને હરાવ્યા હતા. જો કે, ગત ચૂંટણીમાં તેઓ રવિન્દ્ર રૈના સામે હારી ગયા હતા. પુંછ જિલ્લાના મેંધરથી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય અને અબ્દુલા સરકારના મંત્રી જાવેદ અહેમદ રાણાએ ભાજપના ઉમેદવાર મુર્તઝા અહેમદ ખાનને હરાવ્યા હતા. જમ્મુની છમ્બ સીટથી અપક્ષ ધારાસભ્ય સતીશ શર્મા ચૂંટણી પછી નેશનલ કોન્ફરન્સમાં જોડાયા હતા. જાવેદ દાર રફિયાબાદ સીટથી ધારાસભ્ય છે. ચૂંટણીમાં 9 હજારથી વધુ મતોથી જીત્યા હતા.